પધરામણી

(સ્નેહી મિત્રો, પ્રથમ તો આપ  સૌની માફી ચાહું છું કે બે મહિના અંતરાલ બાદ નવીન વાર્તા લઈને આવ્યો છું. આ બે મહિના દરમ્યાન ઘણા મિત્રોની ઈમેઈલ આવી, ફેઇસબુક પર પણ પૂછતાછ થઈ કે નવી વાર્તા ક્યારે????

સમયનો અભાવ, થોડી આળસ અને સ-રસ પ્લૉટના અભાવે નવીન વાર્તા આપવામાં મોડું થયું તો માફ કરશો. વળી આજકાલ ફેઈસબુક પર વધારે સક્રિય થયો છું.

લો, આપની સેવામાં સાવ અનોખી વાર્તા ‘પધરામણી’ આપને અર્પણ છે. મારી અન્ય વાર્તાઓની જેમ જ આ વાર્તાનો વિષય પણ સહેજ અલગ છે. આપ સૌના નિખાલસ પ્રતિભાવની અપેક્ષા સેવું છું. આપના પ્રતિભાવો જ મારા માટે સાચા માર્ગદર્શક અને પ્રેરણામૃત છે.

અહિં ક્લિક કરતા આ વાર્તા માટે કોમેન્ટ કરી શકાશે.

આભાર.)

પધરામણી

દિનુ થાકીને એના રૂમ પર આવ્યો. રોજ કરતા આજે એ વધારે થાકી ગયો હોય એમ લાગતું હતું. એક તો આજે રોજ કરતા વધારે રૂમ બનાવવા પડ્યા અને ડેસ્ક પર કામ કરવાનું ન મળ્યું. એ મોટેલમાં કામ કરતો હતો. ‘ડેઇઝ ઈન’માં. આજથી ચારેક વરસ પહેલાં એ અહિં અમેરિકા આવ્યો હતો. મોટી બહેન ગીતાએ એની પિટિશન ફાઈલ કરી હતી. જે નવ વરસના લાંબા ઈંતેઝાર બાદ ઓપન થઈ હતી. બનેવી જશુભાઈ તો ફાઈલ કરવા માંગતા જ નહોતા. કે’તા કે અહિં હવે પહેલાં જેવું નથી. વળી દિનુ કંઈ ખાસ ભણેલ નહોતો. અહિં આવીને શું કાંદા કાઢવાનો? દિનુની વિનવણી અને બહેનના મનામણાં બાદ એમણે ફાઈલ કરી. દિનુ આવ્યો ને થોડા દિવસમાં જ બનેવીએ એને કહ્યું, ‘જો દિન્યા…, આ અમેરિકા છે. તું એમ માનતો હોય કે અહિં ઘી-કેળાં છે તો એ માન્યતા છોડી જે દેજે. અહિં પરસેવાની કિંમત છે. આ તક અને લકનો દેશ છે. તક ન મળે તો ઊભી કરવાની. પણ લક ન હોય તો કંઈ ન થાય. વીસ વરસમાં મેં કરોડપતિને રોડપતિ થતા જોયા છે તો રોડ પર રખડતાંને મર્સિડિઝમાં મહાલતા જોયા છે. તારે તારું ફોડી લેવાનું.’ અને બનેવીએ ઉમેર્યું, ‘તારે કેવી નોકરી કરવી એ તારા પર નિર્ભર છે. મારા કન્વિનિયન સ્ટોરમાં કે ગેસ સ્ટેશનો પર તને કામ પર રાખવાનો નથી. ધંધામાં સગાઓને મેં કદી રાખ્યા નથી. એમાંથી ઘરમાં ઝગડો ઘૂસે. મને એ ન ગમે. સો જૉબ શોધવા માંડ. અને જેમ બને એમ જલદી અહિંથી મૂવ થા.’

‘પણ..’ બહેન ગીતાએ સહેજ અચકાઈને કહ્યું, ‘એને લાયક કામ તો મળવું જોઈએને..!’

‘….તે શોધવાનું. એને લાયક એક જ કામ અત્યારે તો મારા ધ્યાનમાં છે. મોટેલમાં..!’ જશુભાઈએ સહેજ ચીઢાયને કહ્યું, ‘બીએ થયેલાથી બૉસ ન બનાય. મોટેલમાં લાગી જા. ત્યાં રૂમો બનાવવાની, મગજ બહુ ખાસ ચલાવવાનું નહિ, અને મોટો ફાયદો એ કે રે’વા માટે એકાદ રૂમ મળી જાય તો રેન્ટ ન આપવું પડે. કામનું કામ અને રહેવાનું મફતમાં. એમાં પણ હવે તો કોમ્પિટિશન છે. આપણા દેશીઓ રહેવા મળે તો સાવ મફતમાં કામ કરવા તૈયાર છે એવું ય સાંભળવા મળ્યું છે. એટલે એ કામ મળી જ જશે એવું પણ નથી. ટ્રાય કર. તારું નસીબ હોય તો કંઈ મળી પણ જાય. લે આ પેપરમાં ઘણી જાહેરાતો છે. મોટેલ હેલ્પ માટેની. ફોન કરવા માંડ.’ કહીને એમણે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’ અખબારોની અમેરિકી આવૃત્તિના ચાર-પાંચ પેપરો દિનુને આપ્યા, ‘ જેમ બને એમ જલદી અહિંથી નીકળવાની કોશિશ કરજે. એવું ન થાય કે પછી મારે…’ બનેવી જશુભાઈ શબ્દો ગળી ગયા પણ એનો ભાવાર્થ દિનુ સમજતો હતો. એણે બહેન તરફ એક નજર કરી પણે બહેને પણ નજર ફેરવી દીધી.

-આ અમેરિકા છે! દિનુને અત્યારે પણ બનેવીના શબ્દો યાદ આવી ગયા..અને એક પ્રશ્ન થયોઃ શું આ અમેરિકા છે? આ પ્રશ્ન એને કેટલાય વખતથી સતાવતો હતોઃ આવું અમેરિકા?! જ્યાં લીલાછમ ડોલરની બોલબાલા હતી અને લીલીછમ લાગણીઓની કોઈ કિંમત નહોતી!

કેટ કેટલાં અરમાનો સાથે એ આવ્યો હતો અહિં? એક વાર અમેરિકા પહોંચી જવાય તો બસ પછી કિસ્મતના દરવાજા ખૂલી જાય. દરવાજા તો ઘણા હતા પણ બધા બંધ હતા..એની ચાવી નહોતી. હતી એ મળતી નહોતી. જેણે કદી ય પોતાની પથારી જાતે પાથરી નહોતી એણે દિવસના ચાલીસથી પચાસ બેડ બનાવવા પડતા..રૂમો બનાવવા પડતા…ગંદા-ગંધાતા સંડાસ-બાથરૂમ સાફ કરવા પડતા…! મેલી ચાદરોની લૉન્ડ્રી કરવી પડતી!! અને દિવસના અંતે શું મળતું?? એક રૂમ દીઠ ચાર ડોલર ને ઢગલો થાક…! આકરી હતાશા…! નરી નિરાશા…!!

-ના, આવું ક્યાં સુધી? દિનુ વિચારતો રહેતો…! આવું ક્યાં સુધી…!?

-હે પ્રભુ બતાવી દે કોઈ તદબીર કે સુધરી જાય આ બગડેલ તકદીર…!!

ધીરે ધીરે એક પછી એક મોટેલ બદલતા બદલતા છેલ્લા ત્રણ વરસથી દિનુ આ એકસો વીસ રૂમની ‘ડેઈઝ ઈન’ મોટેલમાં કામ કરતો હતો. એના માલિક હતા સુનિલભાઈ. એમની પાંચ મોટેલ હતી. કરોડોમાં રમતા હતા. થોડા વિચિત્ર હતા. એમના હાથમાંથી પણ પૈસો સહેલાઈથી છૂટતો નહિ. કોની પાસે કેવું કામ લેવું એ એમની આગવી આવડત હતી. દિનુને ક્યારેક અહિં નાઈટ શિફ્ટમાં ડેસ્ક સંભાળવાની આવતી. એટલે રૂમ બનાવવામાંથી ક્યારેક છુટકારો મળતો. નાઈટ શિફ્ટમાં કામ થોડું ઓછું રહેતું પણ ઊંઘનું બલિદાન આપવું પડતું તો દિવસે રૂમ બનાવી થોડા વધારાના ડોલર પણ મેળવી શકતા. પરન્તુ, આ રીતે કંઈ પૈસા બનાવાય નહિ. દિનુ વિચારતોઃ એક વાર પૈસા આવે તો કંઈ વાત બને. જિંદગી બને. લગ્ન કરાય…! બરાબર સેટલ થવાય! પોતાનું હોય એવું કંઈ કરી શકાય…! ડેસ્ક માટે સુનિલભાઈને સમજાવતા સમજાવતા પણ દિનુને નાકે દમ આવી ગયો હતો. જેમ તેમ સુનિલભાઈ માન્યા એ પણ નાઈટ શિફ્ટ માટે જ! સુનિલભાઈની માન્યતા હતી કે, દેશીઓને ડેસ્કની જૉબ ન અપાય. દેશીઓને જોઈ કસ્ટમર ઓછા આવે! દેશીઓ તો અંદર હાઉસકિપર તરીકે જ સારા…!

શાવર લઈને દિનુ બાથરૂમની બહાર આવ્યો ત્યારે જ ફોનની રિંગ વાગી. માઈક્રોવેવના ઘડિયાળ તરફ એણે એક નજર કરી. અત્યારે રાતે નવ વાગે કોણ હશે વિચારી એણે ફોન ઉપાડ્યો, ‘હલો…!!’

‘દિ…ઈ…નુ…ઊ…!!’ સામે સુનિલભાઈ હતા. આમ તો એઓ અઠવાડિયે એક વાર આવતા. મોટે ભાગે વિક એન્ડમાં. આમ અચાનક સુનિલભાઈનો ફોન આવ્યો એટલે દિનુને સહેજ આશ્ચર્ય થયું, ‘આઇ વોન્ટ ટુ સી યુ નાઉ…’ સુનિલભાઈએ કહ્યું, ‘ડુ યુ અન્ડરસ્ટેન્ડ…!’ ગુસ્સામાં હોય ત્યારે સુનિલભાઈ મોટે ભાગે અંગ્રેજીમાં બોલતા અને એમના અવાજ પરથી લાગતું હતું કે, સુનિલભાઈનો પારો સાતમા આસમાને હતો.

‘ય…સ…!’ દિનુએ ધીમાં અવાજે કહ્યું. જલદી જલદી સ્વેટ સ્યુટ ચઢાવી એ સુનિલભાઈની ઑફિસ તરફ ગયો. સુનિલભાઈની ઑફિસ બે માળના મોટેલના મકાનના એક ખૂણે આવેલ હતી. એનો બંધ દરવાજો ધીરેથી ખોલી એ ઑફિસમાં દાખલ થયો.

‘બો…લો…ભાઈ, કેમ યાદ કર્યો…?!’ દિનુએ ધીમેથી પૂછ્યું.

‘……………’ સુનિલભાઈ મૌન. પણ એમનો ગુસ્સો એમની આંખોમાંથી વરસતો હતો.

દિનુ ડરી ગયો. સુનિલભાઈના ભારેખમ શ્વાસોશ્વાસનો અવાજ પણ તેજ થઈ રહ્યો હતો.

‘પેક અપ યોર બેગ્સ…એન્ડ ગેટ ધ હેલ આઉટ ઑફ માય મોટેલ…! યુ બાસ્ટર્ડ…!’ પોતાની રિવૉલ્વવિંગ ઑફિસ ચેરને ગુસ્સાથી ગોળ ઘુમાવી બોલ્યા.

‘પ…ણ…’ દિનુને કંઈ સમજ ન પડી.

‘યુ…સન ઑફ…!’ સુનિલભાઈના મ્હોંમાંથી અસ્ખલિત ગાળો સરતી હતી, ‘યુ ચીટર…!’

હવે દિનુ ચમક્યો…! તો સુનિલભાઈને જાણ થઈ ગઈ! પણ કેવી રીતે?

‘હાઉ મેની ડોલર યુ મેઈડ ફ્રોમ શોર્ટિયા?’ ગુસ્સેથી ધ્રૂજતા ધ્રૂજતા સુનિલભાઈ ઊભા થઈ દિનુની એકદમ નજદીક આવી ગયા, ‘કેટલા વખતથી..! ફ્રોમ હાઉ લોન્ગ…તું તારી કટકી કાઢતો હતો..? તને એમ કે આઇ વિલ નોટ નો એનિથિંગ…! તને મેં ડેસ્ક પર બેસાડ્યો…! આપણો માણસ સમજીને…!! મારો માણસ સમજીને…!! ને તેં સાલા…જે થાળીમાં ખાધું એમાં જ ટટ્ટી કરી?! તારી જાત પર ગયો?! ગેટ આઉટ નાઉ ફ્રોમ માય મોટેલ…!’

‘ભા..આ…ઈ…!’ દિનુએ મોટ્ટું ધ્રૂસકું નાંખી સુનિલભાઈના પગ પકડી લીધાં, ‘ભાઈ…!! મારાથી મોટી ભૂલ થઈ ગઈ…!આઇ એમ સૉરિ…વેરી… સૉરિ…!’ દિનુએ મજબૂતીથી સુનિલભાઈના પગો જકડી લીધાં, ‘મને માફ કરી દો…’

‘નો…’ સુનિલભાઈએ લગભગ લાત મારી એને છોડવતા કહ્યું, ‘નો..વે…! નાઉ આઇ કાન્ટ ટ્રસ્ટ યુ…! અરે!!  તારા કરતાં તો ધોળિયાઓ સારા…! પેલી મારિયા જો…!કેટલા વખતથી છે ડેસ્ક પર…! એક પેની પણ જો એણે લીધી હોય તો…!’ મારિયા મોટેલમાં ડેસ્ક ક્લાર્ક તરીકે ઘણા સમયથી કામ કરતી હતી, ‘એની નાઈટ શિફ્ટ હોય તો પણ શી નેવર…એન્ડ…યુ…! બોલ કેટલાં બનાવ્યા?’

વાત એમ હતી કે નાઈટ શિફ્ટમાં દિનુ જ્યારે ડેસ્ક પર હોય ત્યારે બે-ચાર કલાક માટે શરીર સુખ ભોગવવા આવતા યુગલોને એ બારોબાર અડધા ભાવે રૂમ ફાળવી આપતો. એની કોઈ રિસિપ્ટ ન બને અને રૂમ  દીઠ ચાલીસ-પચાસ ડોલર એ સીધા પોતાના ગજવામાં સરકાવી દેતો! પેલા યુગલો શોર્ટ ટાઈમ માટે આવે એટલે એઓ ‘શોર્ટિયા’ના નામે ઓળખાય…એઓ મજા કરીને જતા રહે એટલે તરત દિનુ રૂમ બનાવી દેતો. સજાવી દેતો. કોઈને જાણ ન થાય એ રીતે સિફતથી એ આ કામ કરતો હતો…ઘણા સમયથી…! પણ ન જાણે કોઈ રીતે સુનિલભાઈ જાણી ગયા…!

‘મને માફ કરી દો…ભા…ઈ…!’ ધ્રૂસકા દબાવી, રડતા રડતા દિનુ વિનવણી કરતો હતો, ‘હવે હું કદી એવી ભૂલ ન કરીશ…! મારી મતિ મારી ગઈ હતી…!’ દિનુએ ફરીથી સુનિલભાઈના પગ પકડી લીધાં, ‘તમારી જૂતી ને મારું માથું…! તમે મને મારો…! પણ ભાઈ મને કામ પર રહેવા દો…! હું તમારા પૈસા એક એક કરીને આપી દઈશ…! પ્લીઝ…!’ દિનુએ ધ્રૂસકું મૂક્યું. રડતા રડતા એ ફરસ પર ફસડાઈ પડ્યો.

‘હાઉ કેન આઇ ટ્રસ્ટ યુ?’ સુનિલભાઈએ દિનુ તરફ તુચ્છ નજર કરી કહ્યું, ‘ટેલ મી…ટેલ મી…!’

‘…………………’ દિનુએ યાચક નજર કરી વિનવણી કરી, ‘એક વાર ટ્રસ્ટ કરો..! એક ભૂલ તો ભગવાન પણ માફ કરે…! તમે તો મારા અન્નદાતા છો…!’

વેપારી મગજના સુનિલભાઈ વિચારવા લાગ્યાઃ આજકાલ ધંધો ખાસો મંદો હતો. બીજો માણસ શોધતા કોણ જાણે કેટલાં દિવસ નીકળી જાય અને કોણ જાણે એ કેવો હોય? જે છે એને પણ ઑવરટાઈમ આપવો પડશે!

‘ભાઈ…!!પ્લી…ઈ…ઝ…!!’ સુનિલભાઈને વિચારતા નિહાળી દિનુ કરગર્યો, ‘ભા…ઈ, તમે કહો એના સોગંદ ખાંઊં…!’

‘હાઉ કેન આઇ ટ્રસ્ટ યુ? તારો કેમ વિશ્વાસ થાય?’ સુનિલભાઈએ સહેજ ઢીલાં પડતા કહ્યું.

‘ભગવાન સ્વામિનારાયણના સોગંદ…!’ દિનુએ ગળામાં પહેરેલ કંઠી આંખે લગાડી કહ્યું, ‘ભાઈ હું સોગંદ ખાઈને કહું કે કદી પણ એવું ન કરીશ…!’ એની આંખમાં ડર ડોકાતો હતો. જો આ નોકરી જતી રહે તો બીજી આવી નોકરી ન મળે. વળી સુનિલભાઈનું મોટેલ બિઝનેસમાં મોટું નામ. એક વાર એ બ્લેક લિસ્ટમાં આવી જાય તો કદી ય એ મોટેલમાં નોકરી ન કરી શકે…! નોકરી તો જાય અને સાથે સાથે માથેથી છાપરું પણ જાય. બનેવી તો એને ઘરમાં જ ન ઘૂસવા દે…! જાણે એ એક ડેડ એન્ડ પર આવી ગયો હતો…!

‘નો…!’ સુનિલભાઈ અસમંજસ થઈ હોય એમ એમનું ડોકું ધૂણાવતા હતા.

‘પ્લી…ઝ…!’

‘હાઉ વિલ યુ ગિવ માય મની?’ સુનિલભાઈએ પાસો ફેંક્યો, ‘તેં કેટલા બનાવ્યા?’

‘………………!’ દિનુ મૌન રહી નીચું જોઈ ગયો.

‘યુ કેન સ્ટે…!’ સુનિલભાઈ અટક્યા

‘………………!’ દિનુના જીવમાં થોડો જીવ આવ્યો.

‘વિથ વન કન્ડિશન…!’

‘આઇ એમ એગ્રી…!!’ દિનુએ શરત સાંભળ્યા વિના જ કહી દીધું.

સુનિલભાઈ હસી પડ્યા, ‘કન્ડિશન ઇસ કે યુ વિલ નેવર વર્ક ઓન ડેસ્ક…એન્ડ…!’

‘મને કબૂલ છે…!’

‘એન્ડ…!’ હજુ શરત બાકી હતી.

‘………………!’ દિનુ મૂંઝાયો, ‘ભાઈ…મને તમારી દરેક શરત મંજૂર છે!’

‘લિસન…! યુ વિલ ગેટ ઓન્લી ડોલર ફોર રૂમ…!વન બક પર વન રૂમ…!’

-ઓહ…! દિનુ ચમક્યો…! ફક્ત એક જ ડોલર…? ચાર ડોલરને બદલે એક જ…! ઓ પ્રભુ…!!

‘વૉટ ડુ યુ થિન્ક…?’ વ્યંગથી સહેજ હસીને સુનિલભાઈ બોલ્યા, ‘ઇફ એગ્રી..સ્ટે…!નોટ એગ્રી…ગેટ ધ હેલ આઉટ ઑફ માય મોટેલ રાઈટ નાઉ…! તારો રૂમ ખાલી થશે તો ગેસ્ટ માટે જગ્યા થશે…! બોલ…વોટ યુ વોન્ટ ટુ ડુ? તારા જેવા બીજા પચાસના રોજ ફોન આવે છે. અને તને કોઈ મોટેલમાં કેવી રીતે કામ મળે એ હું જોઇશ…! આઇ વિલ સી યુ…! દિન્યા…! યુ બ્રોક ધ ટ્રસ્ટ…!’

દરવાજા વસાય રહ્યા હતા દિનુ માટે.

‘મને મંજૂર છે. તમારી દરેક શરત મને મંજૂર છે.’ સુનિલભાઈના જમણા હાથની હથેળી પોતાના બન્ને હાથોમાં લઈ થપથપાવતા દિનુ સહેજ હતાશ થઈને બોલ્યો, ‘થેન્ક યુ ભાઈ!! મારે તમારો વિશ્વાસ ફરી જીતવાનો છે. આ માટે મારે જે કંઈ કરવું પડે એ કરવા હું તૈયાર છું!’

‘રિમેમ્બર યુ વિલ નેવર ચીટ મી…!’

‘આઇ વિલ…!! નોટ ઓન્લી યુ, આઇ વિલ નોટ ચીટ એનીવન…!’

હતાશ થઈને, હારીને દિનુ એના રૂમમાં આવ્યો…! જાણે એના બધા જ અરમાનોનું અવસાન થયું હતું. સુનિલભાઈએ એની પાંખ કાપી લીધી હતી. જ્યારે એણે તો ઊડવાનું હતું ઊંચે ઊંચે આકાશમાં…!

દિવસો પસાર થઈ રહ્યા હતા. દિનુની દશા કોઠીમાં મ્હોં સંતાડીને રડતા બાળક જેવી હતી. દેશથી મા-બાપ પૈસા મંગાવતા હતા. બાપુજીનું મોતિયાનું ઓપરેશન કરવાનું હતું. બા લગ્ન માટે દબાણ કરતી કે એક વાર દેશ આવીને પરણી જા…હવે તેંત્રીસનો તો થઈ ગયો…!! બનેવી જશુભાઈ ફોન પર પણ ભાગ્યે જ વાત કરતા…! બેન ગીતા ક્યારેક વાતો કરતી…! સાવ એકલો થઈ ગયો હતો દિનુ…! એકલો એકલો રડી પડતો…! કાર લીધેલ એના હપ્તા પણ ન ભરાતા બેન્કવાળા કાર લઈ ગયા…! એક એક ડોલરમાં રૂમ સાફ કરીને શું વળશે? એણે બીજી મોટેલોમાં ફોન કરી જોયા. પણ જ્યારે સુનિલભાઈનું નામ પડતું અને જાણે વાત જ આગળ વધતી જ અટકી જતી! સુનિલભાઈ બધે ફરી વળ્યા હતા…! અન્ય કોઈ નોકરી કરી શકે એવી એની હાલત રહી નહોતી. એમાં પણ એક બે ઈન્ટરવ્યુ આપ્યા. પણ કોઈ આવડતના અભાવે, અનુભવના અભાવે અને વધતી જતી બેકારીને કારણે કોઈ બીજું કોઈ કામ મળે એ શક્ય લાગતું નહોતું. દેશ નાસી જવાનું મન થતું હતું…! સપનાઓના મહેલ તૂટી ગયા હતા…! અતૃપ્ત અભિલાષાઓની લાશ ખભે લઈને ફરતો હતો દિનુ…!

દિવસો જેમ તેમ પસાર થતા હતા. મોટેલ પર અન્ય કર્મચારીઓ સાથે પણ ધીરે ધીરે દિનુના સંબંધ ઓછા થઈ રહ્યા હતા. સ્પેનિશ મૅનેજર સ્કોટ પણ એની સાથે ખપપુરતી વાતો કરતો. એક મારિયા હતી જે દિનુની થોડી દરકાર કરતી. એ મોટે ભાગે ડેસ્ક પર જ કામ કરતી. ત્રીસેક વરસની મારિયા સાલસ સ્વભાવની હસમુખી યુવતી હતી. એ સમજતી હતી કે દિનુ કોઈ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો. દિનુ પોતાની વાત કોઈને કેવી રીતે કરે? કેવી રીતે એ કહે કે એ કટકી કરતો હતો શોર્ટિયામાંથી અને સુનિલભાઈએ એને પકડી પાડ્યો હતો…? છતાં પેટ છૂટી વાત દિનુએ મારિયાને કરી. મારિયા પહેલાં તો હસી એના પર. ત્યારબાદ, ધીરે ધીરે મારિયાએ સહાનુભૂતિ  બતાવવા માંડી હતી. એની સાથે એ હસીને વાતો કરતી. એના માટે ક્યારેક ખાવાનું પણ લઈ આવતી! તો ક્યારેક થોડા પૈસા પણ આપતી. એ કહેતી, ‘ડોન્ટ વરી..ડીનુ…એવરીથિંગ વિલ બી ફાઇન…ધ ડે વિલ ચેઇન્જ…!’

-પણ ફાઇન થશે એમ કહેવાથી ફાઇન થઈ જતું નથી…! સમય બદલાતો હોય છે…એનો સ્વભાવ છે, એ બદલાય…એની સાથે પરિસ્થિતિ બદલાતી નથી…! દિનુને ફક્ત થોડી શાંતિ મળતી જ્યારે એ મંદિરે જતો. એના વિસ્તારમાં નવું નવું સ્વામિનારાયણનું મંદિર થયું હતું. એમાં શનિ-રવિના રોજ સાંજે પ્રાર્થના સભા થતી. ઘણા સત્સગીંઓ આવતા. પ્રવચનો થતા. ઉપદેશો અપાતા..! ગમે તેમ કરીને દિનુ એ સત્સંગ સંધ્યાઓમાં ભાગ લેતો. પ્રભુને વિનવણી કરતોઃ હે પ્રભુ…! હે સ્વામિનારાયણ ભગવાન…! મારી દશા સુધાર…! મારા તરફ પણ કંઈક નજર કર…! વળી મંદિરે જવાનો મોટો ફાયદો એ થતો કે ત્યાં સત્સંગ બાદ મહાપ્રસાદી મળતી. જમવાનું મળતું…! બાકી તો રોજ મેક્ડૉનાલ્ડની કે બર્ગરકિંગના ડોલર મેન્યુની સેન્ડવિચના ડૂચા જ મારીને જ પેટપૂજા કરવી પડતી હતીને?

દિનુ પોતાનું કામ કરતો રહેતો. સુનિલભાઈએ શરૂઆતમાં એને મળવાનું ટાળતા. પણ આડકતરી રીતે એની જાણ રાખતા. દિનુ પણ માનતો હતો કે એક દિવસ તો સુનિલભાઈનું હૈયું ઓગળશે. ફરી પહેલાં જેવા દિવસો જરૂરથી આવશે. જ્યારે સુનિલભાઈ મોટેલની વિઝિટે આવતા ત્યારે દિનુ એમની નજરમાં આવવાની કોશિશ કરતો. જેથી સુનિલભાઈના વિચારો કંઈક બદલાય. અમેરિકામાં ભયંકર મંદીનું મોજું ફરી વળ્યું હતું. બેકારી વધી રહી હતી. દરેક ધંધા મંદા થઈ રહ્યા હતા. એની અસર મોટેલના ઉદ્યોગ પર પણ વિપરીત પડી હતી. એ કારણે સુનિલભાઈ પણ ચિંતાતુર રહેતા. સુનિલભાઈએ ‘ડેઈઝ ઈન’માંથી પણ માણસો ઘટાડવા માંડ્યા હતા. એવામાં દિનુ પોતાની સ્થિતિ કેવી રીતે સુધારી શકે? જો દિનુ કંઈ કહેવા જાય તો એને પણ કાઢી મૂકે એ ડરે એ વધારેને વધારે મૂંઝાતો હતો. માનસિક વિટંબણાઓને શાતા મળે એ માટે એના મંદિરના આંટા ફેરા વધી રહ્યા હતા. મંદીના દોરમાં મંદિરનો ધંધો ધમધોકાર ચાલે એ એક નરી વાસ્તવિકતા છે.

આજે સુનિલભાઈ આવ્યા હતા. શનિ-રવિ એઓ આવતા. શનિવારે એઓ રોકાતા. દિનુએ ધીમેથી એમના રૂમના દરવાજે ટકોરા માર્યા. મોટે ભાગે શુક્રવાર સાંજે એ આવી જતા.

‘ય….સ….! હુ ઈસ…ધીસ…?’ અંદરથી સુનિલભાઈનો અવાજ આવ્યો, ‘ડોર ઇસ ઓપન… પ્લીઝ કમ ઇન સાઈડ…!’ સુનિલભાઈ માટે મોટેલમાં એમનો એટેચ્ડ કિચન વાળો સ્યૂટ શનિ-રવિ કાયમ ખાલી રાખવામાં આવતો.

દિનુ ધીરેથી રૂમમાં અંદર દાખલ થયો, ‘જ…ય સ્વામિનારાયણ…! ભા…ઈ…!’

‘જય સ્વામિનારાયણ…! આવ દિનુ…!’ પલંગ પર આરામ ફરમાવતા સુનિલભાઈ પલંગ પર બેઠાં થયા.

‘ભાઈ….’ સ્વામિનારાયણ ભગવાનના ફોટાવાળું ગોળ વાળેલ કેલેન્ડરનું પિંડલું ખોલી એણે સુનિલભાઈને આપતા કહ્યું, ‘ભા…ઈ…! આ આપના માટે લાવ્યો છું. ખાસ આપના માટે…!’

સુનિલભાઈએ કેલેન્ડર હાથમાં લીધું. ફોટા પર એક નજર દોડાવી અને ભાવપૂર્વક કપાળે ફોટો લગાવ્યો.

‘ભાઈ…! આપણા સિટીમાં નવું મંદિર બની રહ્યું છે. લગભગ બંધાય ગયું છે. આપને સમય હોય તો આવો કાલે…! સત્સંગ સભામાં…!! ઘણા માણસો આવે છે…!’

‘હા…મેં વાંચ્યું છે. મારા પર પણ, આઈ મીન મોટેલના સરનામે બે-ત્રણ વાર ઈન્વિટેશન કાર્ડ પણ આવેલ છે….!’

‘તમે કાલે તો અહિં જ છોને? મારી ખાસ વિનંતિ છે કે તમે આવો કાલે…! દેશથી ઘણા સ્વામિ, ગુરુઓ આવેલ છે. મંદિરમાં સ્વામિનારાયણ જયંતીએ પ્રાણ પ્રતિસ્થાની તૈયારી ચાલે છે. આખા યુએસમાંથી, લંડનથી, અને દેશથી ઘણા બધા સ્વામિઓ, સાધુઓ, ગુરુ મહારાજો આવવાના છે!’

‘એ….મ…!!?’ સુનિલભાઈએ થોડો રસ બતાવ્યો.

‘હા…! મહોત્સવની તૈયારીઓ ચાલે છે…!’

‘…તો….તો…!’ વેપારી સુનિલભાઈનું મગજ વિચારવા લાગ્યું, ‘એઓને ઘણી જગ્યાની જરૂર પડશે…! ઉતારા માટે…!’

‘હા જ સ્તો…! અને આપણા ટાઉનમાં એટલાં બધા દેશીઓ પણ ક્યાં છે કે એઓના ઘરે સ્વામિ-સાધુઓને ઉતારો આપી શકાય? ભાઈ…તમે આવો સત્સંગમાં તો સારું…કૉન્ટેક્ટ થાય…! અને…’

‘કેટલા વાગે સત્સંગ થાય છે? મારું સ્કેડ્યુઅલ જો બિઝી ન હોય તો આઈ વિલ ટ્રાય…!’

બીજા દિવસે સુનિલભાઈએ સત્સંગમાં ભાગ લીધો. આજુબાજુના અન્ય ટાઉનમાંથી ઘણા ગુજરાતીઓ પણ આવતા હતા. સ્વામિઓના પ્રવચનમાં ભક્તિની શક્તિ, ભારતીય સંસ્કૃતિની મૉર્ડન જિંદગીમાં અગત્યના અને મંદિર બનાવવા અંગેના મૂળભૂત વિચારોની વિગતવાર છણાવટ સુનિલભાઈએ જાણી. દિનુ તો મંદિરમાં ઘણા સમયથી આવતો હતો એટલે એ તો મોટે ભાગે દરેક ગુરુ સ્વામિઓને, સાધુઓને નામથી ઓળખતો હતો. એણે એ દરેક સાથે સુનિલભાઈની ઓળખાણ કરાવી. મુખ્ય ગાદીપતિ સ્વામિ સેવાશરણદાસ સાથે અંગત બંધ ઓરડામાં સુનિલભાઈ મળ્યા. સુનિલભાઈ પોતાના ધંધાની મૂંઝવણ વર્ણવે એ પહેલાં જ એ સ્વામિજીએ જાણી લઈ એમને ધીરજ આપતા કહ્યું, ‘ નિશા પછી પ્રભાત આવે છે…અંધકારના વેશમાં પ્રકાશ આવે છે. આજ કાલ દેશ પરદેશમાં સંસ્કૃતિનું ધોવાણ થઈ રહ્યું છે. સંસ્કારોની હોળી સળગે છે એમાં જે કંચન હશે એ ટકી જશે, કથીર હશે એ ભસ્મ થશે. કંચન બનો…! સત્સંગ કરો. સાધુઓ, સ્વામિઓ પારસમણિ જેવા હોય છે. એના સંપર્કમાં આવે એ કથીર હોય તો ય કંચન બને…! સ્વામિનારાયણ સંપ્રદાયમાં કરોડો યુવાનો સત્સંગીઓ દેશ દુનિયામાં જોડાઈને પોતાના જીવનનું ઊર્ધ્વગમન કરી રહ્યા છે. દરેક ધર્મના લોકો એનો લાભ લઈ રહ્યા છે.મનની શાંતિ પ્રાર્થનાથી જ આવે. સત્સંગથી આત્મજ્ઞાન મળે. સાચી માનસિક શાંતિ મળે.’

સુનિલભાઈ માટે આ એક નવો જ અનુભવ હતો. આજ સુધી ધંધાને કારણે એઓને સમય મળતો નહતો. એકલપંડે પાંચ પાંચ મોટેલ સંભાળવામાં, એક મોટેલ પરથી બીજી મોટેલ પર, એક શહેરથી બીજે શહેર…જવામાં જ જિંદગી પુરી થઈ રહી હતી. એમની પત્ની મધુ ઘણી વાર કહેતી કે કંઈ ધરમ કરમ કરો. પણ સમય કોને હતો એ માટે? વળી આજકાલ રિસેસનને કારણે, મંદીને કારણે મોટા ભાગે એમની દરેક મોટેલ અડધા કરતા વધારે ખાલી રહેતી એટલે ગાંઠના ગોપીચંદન કરવા પડતા હતા. મૂડી તૂટી રહી હતી.રાત્રે ઊંઘ ઊડી જતી. એવામાં ધરમ કરવા જાય કે ધંધો કરવા જાય? મધુ તો કહેતી કે મોટેલમાં ઘણા કાળા-ધોળાં કરમો થાય તો એનું ય પાપ લાગે…! પણ ધંધો એ ધંધો…! એમાં થોડુંક તો કાળું-ધોળું કરવું પણ પડે. એ પોતે ક્યાં જાણી જોઈને એવું કરતા હતા? સ્વામિ સેવાશરણદાસ સાથે અંગત વાત કરવાથી, એમની શાંત વાણીથી એમને થોડી શાતા વળી. સ્વામિની વાત સાચી હતી. ધરમને શરણે જવા સિવાય કોઈ આરો નહતો. ધર્મમ્ શરણ્ ગચ્છામિ…!!

એ રાત્રે સુનિલભાઈને નિરાંતે ઊંઘ આવી. પછી તો જ્યારે જ્યારે સુનિલભાઈ આવતા ત્યારે સત્સંગ સભામાં જતા. મહાપ્રસાદી લેતા. ધીરે ધીરે એઓ ધરમના રંગે રંગાઈ રહ્યા હતા. મંદિરનું કામકાજ ચાલી રહ્યું હતું. ચૈત્ર સુદ નોમ, રામ નવમી અને સ્વામિનારાયણ જંયતીના શુભ દિને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું શુભ મુહૂર્ત નીકળ્યું હતું.

‘ભાઈ…!’ દિનુ રૂમ બનાવીને બહાર નીકળ્યો ત્યારે જ સુનિલભાઈ મોટેલમાં આંટો મારવા નીકળ્યા હતા. કેટલાંક રૂમોમાં કાર્પેટ બદલવાની કામગીરી પુરી થઈ ગઈ હતી એ જોવા માટે એઓ અને મૅનેજર સાથે ચેકિંગ માટે ગયા હતા, ‘જય સ્વામિનારાયણ…!ભાઈ…!’ દિનુએ રબ્બરના હાથ મોજાં કાઢી બન્ને હાથ જોડી કહ્યું, ‘જય સ્વામિનારાયણ….!’

સુનિલભાઈએ દિનુના ખભા પર હાથ મૂકી કહ્યું, ‘જય સ્વામિનારાયણ દિનુ…! કેમનું ચાલે છે…?’ પછી એમણે મૅનેજર સ્કોટ તરફ ફરી સહેજ હસીને પૂછ્યું, ‘હાઉ હી ડુઇન…?’

‘હિ ઇસ ડુઇંગ ગુડ…!’ હસીને સ્કોટ બોલ્યો, ‘નો કમ્પ્લેઈન…રાઈટ નાઉ…! હિ ઇસ ડુઇંગ ઓન્લી હાઉસ કપિંગ…!’

‘ગીવ હીમ લિટલ રેઇઝ…!’ સુનિલભાઈ સહેજ પીગળ્યા, ‘શું કહે છે દિનુ?’

‘……………………!’ દિનુ મૌન. સહેજ હસરતભરી નજરે એ સુનિલભાઈ તરફ નિહાળવા લાગ્યો.

‘ગિવ હીમ ક્વાટર મોર ફ્રોમ નેકસ્ટ વીક…!’ દિનુ તરફ જોઈ સુનિલભાઈ બોલ્યા, ‘જો દિનુ, સિચ્યુએશન ઇસ બેડ…! યુ નો…! આજે કેટલા રૂમ બનાવ્યા?’

‘થેન્ક યુ ભાઈ…!’ મ્લાન હસીને દિનુ બોલ્યો, ‘તમે મને ફાયર ન કર્યો એ જ મારા માટે તો ઉપકાર છે.’ સહેજ અચકાઈને દિનુએ કહ્યું, ‘આઈ નો સિચ્યુએશન ઇસ બેડ…!’

‘સ્કોટ…! મૅનેજર તરફ નિહાળી સુનિલભાઈએ કહ્યું, ‘યુ કેન ગો. ફિનિશ યોર વર્ક…’

‘સી યુ લેટર…’ કહીને સ્કોટ એની ઑફિસ તરફ ગયો.

લૉબીમાં કાર્ટ ધકેલતા દિનુ સાથે સુનિલભાઈ ધીમે ધીમે ચાલવા લાગ્યા, ‘ભાઈ, ગુરુજી આપને યાદ કરતા હતા. એમણે આપના માટે કંઠી અને દાદા સ્વામિનો ફોટો આપેલ છે. તમે કહો ત્યારે આપને આપી જઈશ…! બહુ તત્વજ્ઞાની પુરુષ છે એઓ. મારા મનના બધા પાપો એમણે જ ધોયા, સાફ કર્યા. મારા મનમાં આપના પ્રત્યે પણ હવે કોઈ રાગ-દ્વેષ રહ્યો નથી. હા, શરૂઆતમાં મને થોડું લાગી આવ્યું હતું. પણ દોષ મારો હતો. ગુન્હો મારો હતો. ગુરુસ્વામીજીએ મારા મનને સ્વચ્છ કર્યું. બહુ ચમત્કારી વ્યક્તિત્વ છે ગુરુજીનું…! ત્રિકાળ જ્ઞાની છે. એક વાર એમની પધરામણી કરવી જોઈએ આપણી મોટેલ પર…! એમના ચરણકમળ પડશે તો ધંધો પણ…’

‘એઓ પધારશે…?!!…અહિં…? આપણી મોટેલ પર….?!’ સુનિલભાઈએ ઉત્સુકતાથી પૂછ્યું.

‘કેમ નહિ?!’ કાર્ટ પર ચીપકાવેલ લિસ્ટ પર નજર કરી દિનુએ કહ્યું, ‘ભાઈ, મારે હજુ બીજા ત્રણ રૂમો બનાવવાના છે. જો આપને સાંજે સમય હોય તો હું ગુરુજીએ આપેલ ભેટ આપને આપી જઈશ. તમે ક્યાંક જવાનો હો તો…!’

‘ના….!’ સુનિલભાઈએ વચ્ચે બોલી પડ્યા, ‘મારે એકાઉન્ટ મૅટર ચેક કરવાની છે. બટ યુ કેન સી મી એટ.. ફાઇવ…! પાંચ વાગે મળ…!’

‘ઓ…કે…!ભાઈ…! જય સ્વામિનારાયણ….’ દિનુએ રબ્બરના હાથ મોજાં ચઢાવતા કહ્યું, ‘હું આવીશ પાંચ વાગે…! ને ભાઈ થેન્ક યુ ફોર રેઈઝ…!’ સોમવારથી દિનુને હવે એક રૂમ દીઠ સવા ડોલર મળવાનો હતો…! સુનિલભાઈ ઓગળી રહ્યા હતાઃ જય સ્વામિનારાયણ…!!

આખો દિવસ રૂમો બનાવી-સજાવી, થાક ઉતારવા શાવર લઈ, સહેજ તાજા-માજા થઈ સાંજે પાંચ વાગે ભગવા રંગની એક નાનકડી કોથળીમાં દાદા સ્વામિનો લેમિનેટેડ ફોટો, કંઠી અને સુખડીનો પ્રસાદ લઈ દિનુએ સુનિલભાઈના રૂમના બંધ દરવાજા પર ટકોરા માર્યા.

‘આ..આ…વ દિનુ!’ જાણે સુનિલભાઈ દિનુની જ રાહ જોતા હતા.

‘જય સ્વામિનારાયણ…!’ દિનુએ નમ્રતાથી હાથ જોડ્યા, ‘ભાઈ…! આ આપના માટે ગુરુજીએ પ્રસાદ અને ભેટ મોકલાવી છે.’ દિનુએ કોથળી ખોલી એમાંથી દાદા સ્વામિનો ફોટો કાઢી ભાવપૂર્વક એણે આંખે લગાડ્યો, ‘બહુ જ યુગદ્રષ્ટા છે દાદા સ્વામિ તો…!’ એણે ફોટો અને કંઠી સુનિલભાઈને આપતા કહ્યું, ‘ભાઈ આ તમે પહેરજો. ગુરુએ ખાસ આપના માટે બહુ ભાવથી આપી છે… એ આપની રક્ષા કરશે…! જરૂરથી કરશે…! મારો તો અનુભવ છે…! ..ને આ પ્રસાદી છે. ‘સુખડીની નાની નાની લાડુડીમાંથી એક નાનકડો લાડુ એણે સુનિલભાઈને આપ્યો, ‘ભાઈ લો…પ્રસાદી…!’ એની આંખો સહેજ ભીની થઈ, ‘એક વાત કહું…? તમે માનશો નહિ ભાઈ!! પણ આ એક લાડુથી મેં ક્યારેક આખો દિવસ ગુજાર્યો છે…! એટલી દૈવી શક્તિ હોય છે પ્રભુના પ્રસાદમાં…!’

‘જય સ્વામિનારાયણ…!’ સુનિલભાઈએ પ્રસાદ ભાવપૂર્વક મ્હોંમાં મૂકી એમણે એમનો જમણા હાથનો પંજો આસ્થાથી પોતાના મસ્તક પર ફેરવ્યો, ‘દિનુ…તું પધરામણીનું કં…ઈ કહેતો હતોને…!’

‘કેટલા વાગ્યા…?!’ દિનુએ દિવાલ પર લટકાવેલ ઘડિયાળ તરફ નજર કરી કહ્યું, ‘ગુરુજીની સાયં સંધ્યા પુરી થઈ ગઈ હશે! ભાઈ, જો આપને વાંધો ન હોય તો એક ફોન કરી જોઉં?’

‘ના…ના…મને શો વાંધો…!’ સુનિલભાઈએ એમનો મોબાઇલ ફોન દિનુને આપ્યો, ‘લે, રિંગ કર…!’

દિનુએ ફોન લઈ રિંગ કરી. થોડી વાર પછી સામેથી ફોન કોઈએ ઉપાડ્યો, ‘જય સ્વામિનારાયણ…!’

‘જય સ્વામિનારાયણ…મહારાજ…!’ ફોનના માઉથપીસ પર હાથ રાખી એણે ધીમેથી     સુનિલભાઈને કહ્યું, ‘ગુરુજીના મુખ્ય શિષ્ય સ્વામી નિત્યાનંદજી છે. પછી ફોનમાં એ બોલ્યો, ‘ગુરુજી સાથે જરા વાત કરવી હતી. હું દિનુ. હા…!’

‘………………….’

‘હા…એ બાબતમાં જ…! હા, મારા બો…સ…આઈ મિન સુનિલભાઈ અહિં જ છે. એમના સેલ પરથી જ ફોન કર્યો છે. ગુરુજીને ક્યારે ફાવશે? એમની ઇચ્છા છે. સુનિલભાઈ કાલે અહિં જ છે. સાંજ સુધી…!’

‘………………….!’

ધીમેથી દિનુએ સુનિલભાઈને કહ્યું, ‘ ગુરુજીને પુછાવે છે…આપને કાલે ફાવશેને ભા…ઈ…? પછી તો ગુરુજીને ક્યારે સમય મળે એ કંઈ કહેવાય નહિ…!’

સુનિલભાઈએ ધીમેથી હકારમાં એમની ડોક હલાવી.

‘હા…! કાલે? સવારે…દશ વાગે…?!’ દિનુએ પ્રશ્નાર્થ નજરે સુનિલભાઈ તરફ નિહાળ્યું.

સુનિલભાઈ હકારમાં ફરી એમની ડોક ધુણાવી.

‘સવારનું મુહૂર્ત શુભ છે. ઓકે…!’

‘………………….!’ ધીમેથી દિનુએ સુનિલભાઈને કહ્યું, ‘ભાઈ આપનાથી એમને લેવા તો જવાશેને? ગુરુજી પાસે કંઈ ગાડી ન હોય…! એવું હોય તો હું ડ્રાઈવ કરી એમને લઈ આવીશ…! આવો મોકો  તો ભાગ્યશાળીને જ મળે. આમ તો ગુરુજી કોઈની ઘરે કે મોટેલ પર જતા નથી. પણ ન જાણે કેમ આપના પર એમને અપાર લાગણી છે. એઓ આવશે તો હું પણ મારા રૂમમાં એમના પાવન પગલાં પડે એવી પ્રાર્થના કરીશ!!’ સુનિલભાઈ કંઈ કહે એ પહેલાં જ દિનુએ ફોનમાં કહી દીધું, ‘હા..! હું અથવા તો સુનિલભાઈ પોતે સવારે દશ વાગે મંદિરે ગુરુજીને લેવા આવીશું એમની મર્સિડિઝમાં…!’

‘………………….!’

‘ઓ..કે…! પોણા દશે મંદિરે પહોંચી જઈશું…! હા…હા…! મને જાણ છે ગુરુજીનો સમય બહુ કીમતી છે. જય સ્વામિનારાયણ…!’ કહીને ફ્લીપ ફોન બંધ કરી એણે સુનિલભાઈને આપતા કહ્યું, ‘હું તો માની જ નથી શકતો કે ગુરુજી આટલી આસાનીથી રાજી થઈ જશે…!’ દિનુએ સાશ્ચર્ય કહ્યું, ‘ભાઈ, આપ પહોંચી જજો ટાઈમસર…! આવો લહાવો ભાગ્યશાળીને જ મળે. હું પણ વહેલાં રૂમો બનાવવાનું શરૂ કરી દઈશ એટલે દશ વાગ્યા પહેલાં તો ફ્રી થઈ જઈશ. બાકી હોય એ પછીથી બનાવીશ…!’

શનિવારે સવારે દશ વાગે સુનિલભાઈની સિલ્વર મર્સિડિઝ ધીમેથી ડેઇઝ ઈન મોટેલના અર્ધગોળાકાર પોર્ચમાં ઊભી રહી. સુનિલભાઈ ડ્રાઈવરની સીટ પરથી ઝડપથી ઊતર્યા અને પેસેન્જર બાજુનો દરવાજો ખોલ્યો નમ્રતાપૂર્વક ખોલ્યો. દિનુ પણ ગુરુજીની રાહ જ જોતો હતો. એ પણ મોટેલમાંથી દોડીને આવ્યો. ગુરુજી સાથે એમના બે શિષ્ય સાધુઓ પણ આવેલ હતા. ગુરુજી હળવેકથી ગાડીમાંથી બહાર નીકળ્યા.

દિનુએ દોડીને ગુરુજીના ચરણસ્પર્શ કર્યા, ‘જય…સ્વામિનારાયણ… અમારા અહોભાગ્ય…આપના ચરણો અમારા આંગણે પડ્યા…!’

‘અરે…દિનુ…! કેમ છે…?’ ગુરુજીએ દિનુના માથા પર હાથ ફેરવતા કહ્યું, ‘ સુખી રહે…અને સર્વનું કલ્યાણ કર…! જય સ્વામિનારાયણ….!’ આજુબાજુ નજર કરી એમણે સુનિલભાઈને કહ્યું, ‘ સરસ જગા છે…! મોકાની…!’

‘હા…! હાઈવે એઈટી વેઇસ્ટ પર ઍક્ઝિટ ટ્વેન્ટી લેતાં પહેલાં  આપણી જ મોટેલ આવે…’ સુનિલભાઈએ સહેજ ગર્વથી કહ્યું, ‘આવો…! પધારો….!!’ મુખ્ય પ્રવેશદ્વાર તરફ એમણે ગુરુજીને દોર્યા.

ગુરુજી સહેજ અટક્યા. એમના શિષ્યો તરફ એક નજર કરી. શિષ્યો  અને દિનુ પણ કંઈ ગુસપુસ કરી રહ્યા હતા. પ્રવેશદ્વારની સામે જ મોટેલની વર્તુળાકાર રિસેપ્શન ડેસ્ક હતી.

‘ભાઈ…’ દિનુએ સુનિલભાઈની નજદીક જઈ કહ્યું, ‘મારિયા ડેસ્ક પર છે…!’ ડેસ્ક ક્લાર્ક મારિયા એની જગ્યાએ રજિસ્ટરમાં કંઈક નોંધી રહી હતી, ‘ગુરુજી અને સ્વામી, સાધુઓને સ્ત્રીના પડછાયો પણ વર્જ હોય છે…એઓ એનાથી દુર રહે…! એઓ બ્રહ્મચર્ય પાડે…! અખંડ બ્રહ્મચારી હોય છે…!!’

‘ઓહ…એમ વાત છે…!’ કહી સુનિલભાઈ ઝડપથી મોટેલમાં ગયા. મારિયા સાથે કંઈક વાતો કરી. એક ફોન કર્યો. પાંચેક મિનિટ બાદ મારિયા મોટેલમાં અંદરના રૂમમાં ગઈ ને મૅનેજર સ્કોટ ડેસ્ક પર આવીને ગોઠવાયો. એને થોડી સલાહ-સુચનો આપી  સુનિલભાઈ બહાર આવ્યા, ‘પ…ધા..રો…ગુરુજી…આવો…અંદર…!’

‘જય સ્વામિનારાયણ…’ ગુરુજીએ એમની ભગવી ચાદર શરીરે બરાબર વીંટાળી, ‘વિશાળ છે આપની મોટેલ તો આપના વિશાળ દિલની માફક જ…! કેટલા રૂમો છે?!’

‘આમ તો એકસો ત્રીસ છે. પણ ગેસ્ટ માટે આઈ મીન રેન્ટ માટે એકસો વીસ અવેલેઈબલ હોય છે! આમ તો આ વરસે એક્સ્ટેન્શનનું પ્લાનિંગ હતું. બીજા સિક્સટિ માટે પણ આપ તો જાણો છો ને આજકાલ ઈકોનોમી ડાઉન છે એટલે…!’

લૉબીમાં ગુરુજી અને સુનિલભાઈ ઝડપથી આગળ ચાલતા હતા. એમની પાછળ પાછળ બે શિષ્યો અને દિનુ એમને અનુસરતા હતા.

‘કેટલા દિવસ ડાઉન રહેશે?! આ ઓબામા આવ્યા છે.’ ગુરુજીએ હસીને કહ્યું, ‘ એમણે ઘણા પગલાંઓ લેવા માંડ્યા છે. હી વિલ સ્ટિમ્યુલેટ ધ ઈકોનોમી.  અમેરિકા પર આખી દુનિયાની નજર હોય છે. સારા દિવસો જરૂરથી આવશે. આશાવાદી બનો…! આશા અમર છે…! આશા અમૃત છે…!’

‘સાચી વાત…!’ સુનિલભાઈએ એમના રૂમના ડોરના પેડ પર ઈલેક્ટ્રોનિક કાર્ડ અડકાડ્યો ને દરવાજો ખોલી કહ્યું, ‘આમ તો પુરી મોટેલને આપના પગલાંઓથી પાવન કરવી હતી મારે પણ…’ સહેજ અચકાઈને એઓ બોલ્યા, ‘ગેસ્ટ…કસ્ટમર હોય એમાં વુમન હોય…અને…’

‘ડોન્ટ વરી…! આઈ કેન અન્ડરસ્ટેન્ડ…’ ગુરુજીએ મરકીને કહ્યું, ‘હું તો ના જ પાડતો હતો પણ દિનુએ કે’દીનું નક્કી કરેલ. બહુ સેવાભાવી છોકરો છે. આપના બહુ વખાણ કરતો હતો!!’ ગુરુજીએ દિવાલ પર લટકાવેલ દાદા સ્વામિના ફોટાને બે હાથ જોડી નમસ્કાર કર્યા, ‘લો…! આપને મારા આશીર્વાદની શી જરૂર છે? ખુદ દાદા સ્વામિ હાજરા હજૂર છે…! યુગપુરુષ….! દિવ્ય દૃષ્ટા…!’ ગુરુજીએ સોફા પર સ્થાન લીધું.

શિષ્યો સાથે દિનુ પણ હળવેકથી અંદર આવ્યો. એણે જમીન પર સૂઈને ગુરુજીને  સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા…! ગુરુજીએ સોફા પરથી ઊભા થઈને એને છાતી સરસો લગાડ્યો, ‘અરે…દિનુ તારું સ્થાન તો અહિં છે…!’ એમણે એમની છાતી પર હ્રદયની જગ્યાએ આંગળી લગાડી કહ્યું , ‘મારા દિલમાં…! ભલે તેં દીક્ષા નથી લીધી…પણ તારી ભક્તિ…ભાવના… દાસ્યાસક્તિ બેજોડ છે…ઉત્તમ છે… વત્સ, તારું કલ્યાણ થશે…તું સૌનું કલ્યાણ કર…!’

‘આપની આજ્ઞા સર આંખો પર…!’ દિનુની આંખ ભાવથી ભીની થઈ ગઈ. એ ગદગદિત થઈ ગયો, ‘આપે તો મને ડૂબતો બચાવ્યો છે…! આપ તો મારા માર્ગદર્શક…તારણહાર છો…! ઉદ્ધારક છો…’ રૂમની કાર્પેટ પર ગુરુજીની સાવ નજદીક બેસી દિનુ બે હાથો વડે ધીમે ધીમે ગુરુજીના પગો દબાવવા લાગ્યો.

પછી તો જાત જાતની વાતો થઈ.. સુનિલભાઈના કુટુંબ વિશે, મૂળ વતન, દેશપ્રેમ, પ્રગતિ…સંતાનો…સત્સંગ…સંસ્કાર…ધરમ…કરમ…મંદિર…શિક્ષાપત્રી…વચનામૃત…ભણતર…સેવા.. ગુરુજીએ થોડો ફળાહાર કર્યો.

‘આ મારા તરફથી આ ફૂલ નહિ તો ફૂલની પાંખડી.’ સુનિલભાઈએ એક બંધ ઍન્વેલપ ગુરુજીને આપતા કહ્યું, ‘હાલે તો વન થાઊઝન્ડ વન ડોલર છે…! આપ તો જાણો જ છો ઈકોનોમીક કન્ડિશન…!’ સુનિલભાઈએ ગુરુજીના ચરણસ્પર્શ કરતાં કહ્યું.

‘અ….રે…! સુનિલભાઈ…!’ ગુરુજીએ ઍન્વેલપ એમના શિષ્યોને આપતા કહ્યું, ‘ભા…ઈ, આપે તો અમારા માટે કંઈ કહેવાનું બાકી જ ન રાખ્યું. ધન્ય છે આપને. આપના જેવા સત્સંગીઓને કારણે જ આપણો ધર્મ પાંગરી રહ્યો છે. આપના જેવાને કારણે લાગે છે કે હજુ ય કળિયુગ નથી આવ્યો. સ્વામિનારાયણ ભગવાન અવશ્ય આપનું કલ્યાણ કરશે. શ્રેયસ્થ ભવઃ!’ ગુરુજીએ બન્ને હાથો સુનિલભાઈના માથા પર થોડો સમય મૂકી રાખ્યા. સુનિલભાઈએ એક અજીબ પરમ શાંતિનો અનુભવ થયો.

‘ગુરુજી…!’ સાથે આવેલ એક શિષ્યે કહ્યું, ‘આપણે હવે નીકળવું જોઈએ…!આજે મંદિર માટે કાઉન્ટીના માણસો આવવાના છે. સેફ્ટી માટે. ફાયર માર્શલ..!એઓ આવે એ પહેલાં આપણે પહોંચવું પડશે.’

‘ઠીક યાદ અપાવ્યું સ્વામિ સત્યપ્રિયવદન!’ સુનિલભાઈ તરફ નિહાળી ગુરુજીએ કહ્યું, ‘અમે નીકળીશું. આપ આવો જ સમભાવ રાખશો…! અહિં વિશાળ વીસ એકરમાં ભવ્ય પંચ શિખરી મંદિર સર્જવાનું દાદા સ્વામિનું સ્વપ્ન છે! અને આપ તો જાણો જ છો કે એઓ જ્યારે પણ લે એ પૂર્ણ કરે જ છે…! અમે નીકળીશું!’ એમને સુચક નજરે એમના શિષ્યો અને પછી દિનુ તરફ જોયું. દિનુ તુરંત સમજી ગયો. એણે સુનિલભાઈને કહ્યું, ‘ભાઈ…! ડેસ્ક પર…મા…રિ…યા…!’

‘હા…!’ સુનિલભાઈ ઝડપથી રૂમની બહાર નીકળ્યા. પાંચેક મિનિટ બાદ આવ્યા, ‘ આવો ગુરુજી…રસ્તો ક્લિયર છે. કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો મહારાજ…! આપના આશીર્વાદ અમારા પર વરસતા રહે એવી પ્રાર્થના છે.’

‘આશીર્વાદ તો ઉપર બેઠા હજાર હાથવાળાના લેવાના…!’ આકાશ તરફ આંગળી ઊચી કરી ગુરુજી ઊભા થયા, ‘એની કૃપા વિના પાંદડું પણ ન હલે…!આપણે તો…અમે તો નિમિત્તમાત્ર…! એમની સેવા..કરો..! જય સ્વામિનારાયણ…!’

દિનુ ફરી પગે લાગ્યો, ‘મહારાજ આપને મારા રૂમે લઈ જવા હતા પણ હવે સમય થઈ ગયો છે. એટલે બીજી વાર..!’

‘અવશ્ય…!દિનુ…!’ ગુરુજીએ દિનુને કહ્યું, ‘કામ બરાબર કરજે…! તું તો ભાગ્યશાળી છે કે સુનિલભાઈ જેવા પરોપકારી દાતાર તારા શેઠ છે.’

‘જી ગુરુજી…! એઓ અન્નદાતા છે તો આપ મન્નદાતા છો…! અંતઃકરણના અધિષ્ઠાતા છો.’

આશીર્વચન વરસાવી ગુરુજી અને શિષ્યો ગયા. દિનુ એના કામે લાગ્યો. એ દિવસ તો ઝડપથી પસાર થઈ ગયો. બીજા દિવસે રવિવાર હતો. લોન્ગ વિક એન્ડની રજાઓને કારણે મોટેલમાં ગરદી હતી. મારિયા આજે આવી ન હતી. મૅનેજર સ્કોટે મારિયાના ઘરે, એના સેલ ફોન પર ઘણી વાર રિંગ કરી. પણ કોઈ જવાબ ન મળતા સીધો મેઈલબોક્ષ જ મળતો હતો. એણે બધી જગ્યાએ મૅસેજ મૂક્યો. મારિયા લગભગ સાતેક વરસથી ડેસ્ક ક્લાર્ક તરીકે મોટેલમાં કામ કરતી હતી. બહુ જ નિયમિત રહેતી. કામગરી અને સૌની વિશ્વાસુ હતી.

‘બૉસ…!’ સ્કોટે ઇન્ટરકોમ પર સુનિલભાઈને રૂમ પર ફોન કર્યો, ‘મારિયા ઈસ નોટ ઈન…! આઈ નીડ હેલ્પ…!’

‘વ્હોટ હેપન્ડ ટુ હર…? આઈ એમ કમિંગ…!’ ઝડપથી તૈયાર થઈ સુનિલભાઈ મૅનેજર સ્કોટને મળ્યા. રિસેપ્શન પર ચાર પાંચ ગ્રાહકો લાઈનમાં ઊભા હતા. એમના બાળકો દોડધામ કરતા હતા એ ગ્રાહકોની સાથે સ્કોટ જરૂરી કાર્યવાહીમાં પરોવાયો હતો.

‘વ્હોટ હેપન્ડ ટુ મારિયા…?!!’ ડેસ્ક પાછળ જઈ સુનિલભાઈએ સ્કોટને મદદ કરવા માંડી, ‘ડીડ યુ કોલ હર…??!’

‘રૂમ નંબર થર્ટી ફોર…!’ સ્કોટે ગ્રાહકને ઈલેક્ટ્રોનિક કાર્ડ કી આપતા કહ્યું, ‘યસ કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ ઈસ સર્વડ્ ઈન લૉબી. હેવ એ નાઇસ ડે…’ ત્યારબાદ એણે સુનિલભાઈ તરફ ફરીને કહ્યું, ‘આઈ કોલ્ડ હર…મેની ટાઇમ્સ…! નો આન્સર…! આઈ નીડ હેલ્પ…! ઈટ લુક્સ લાઈક વિ વિલ બી બીઝિ ટુડે…!’

સુનિલભાઈએ પોતાના સેલ ફોન પરથી પણ મારિયાને મૅસેજ મૂક્યો. એક તો મંદીને કારણે એમણે દરેક મોટેલમાં માણસો ઓછા કરી દીધા હતા. જરૂર હોય એના કરતા અડધા જ માણસો કામ પર આવે એમાં આ મારિયાએ દિવસ ખાંડો કર્યો. આખો દિવસ એઓએ ડેસ્ક પર કામ કર્યું. વિચારીને એમણે દિનુને ડેસ્ક પર કામે લગાડ્યો. અન્ય મોટેલ પર રાત્રે જઈ આવી દિવસે ‘ડેઈઝ ઈન’ પર એમણે ખુદ ડેસ્ક સંભાળવી પડતી. પાંચ દિવસ પસાર થઈ ગયા. મારિયાના કોઈ સગડ નહોતા. આજે તો એમણે પોલીસને ઈન્ફોર્મ કરવાનું જ વિચાર્યું હતું. ટપાલી મેઈલ આપી ગયો સ્કોટ એનો થોકડી લઈ આવ્યો અને બે રજિસ્ટર્ડ પત્રો સુનિલભાઈના નામે હતા એ એણે સુનિલભાઈને આપ્યા, ‘બૉસ, ઈટ ઇસ ફોર યુ!!’

સુનિલભાઈએ એ એન્વલપ ખોલ્યા અને  હક્કા બક્કા જ રહી ગયા સુનિલભાઈ! એમને લાગ્યું કે એમને ચક્કર આવી રહ્યા છે. એમના દિલની ધડકનો વધી ગઈ…! દિલના ધબકારા કાનમાં સંભળાવા લાગ્યા…ધક…ધક…ધક…!એરકન્ડિશન વાતાવરણમાં પણ  એમને પરસેવો વળી ગયો.

એમની હાલત જોઈ સ્કોટને ચિંતા થઈ આવી, ‘બોસ…આર યુ ઓકે…?!!’

‘આઈ એમ ફાઇન…!’ સુનિલભાઈ એ બન્ને પત્રો લઈ હાંફતા હાંફતા ઝડપથી ઊભા થઈ એમના અંગત રૂમમાં જતા રહ્યા. હજુ ય એ માની શકતા નહોતા. એ બન્ને પત્રો નોટિસ હતી. એક લોયરની…! મારિયાના લોયરની…! મારિયાએ સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો કેસ ઠપકાર્યો હતો પાંચ મિલિયન ડોલરનો એમના પર…! જાતીય પ્રેરિત ભેદભાવાત્મક વલણ બદલ એમને કોર્ટમાં ઘસડ્યા હતા…! બીજી નોટિસ હતી યુનાઈટેડ સ્ટેટ ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના ઇન્સપેક્ટર જનરલની કાયદાભંગ બદલ…! ઓ..હ…! એમને લાગ્યું કે એમનું હ્રદય ધબકવાનું બંધ થઈ જશે. એમણે છાતી પર જોરથી હાથ ભીંસી દીધો…!

-આ મારિયાએ તો ભેખડે ભેરવી દીધો…! એઓ ઝડપથી વિચારવા લાગ્યાઃ ગુરુજી આવ્યા ત્યારે એમણે મારિયાને ડેસ્ક પરથી અંદરના ભાગમાં જવાનું કહેલ ત્યારે મારિયાએ સહેજ વિરોધ કરેલ, ‘વાય શુલ્ડ આઇ ગો ઈન સાઈડ…? આઈ એમ ફાઇન હિયર…!’

ત્યારે સુનિલભાઈએ સ્વભાવસહજ ગુસ્સાથી કહી દીધેલ, ‘જસ્ટ ગો ઈન સાઈડ…!’

ત્યારે મારિયાની આંખમાંનો આક્રોશ એઓ પારખી ન શકેલ!

-હવે? એમને પોતાની જાત પર ગુસ્સો આવ્યો…! હવે શું?

-પાંચ મિલિયન ડોલર…!

-આ તો ધરમ કરતા ધાડ પડી..! ગુસ્સાથી એમણે એમના ડોકે લટકતી કંઠી બળપૂર્વક ખેંચી તોડી નાંખી. કંઠીના ઝીણા ઝીણા મણકા કાર્પેટ પર વેરાય ગયા. રોષભરી નજરે સુનિલભાઈએ દિવાલ પર લટકતી દાદા સ્વામિની તસવીર તરફ જોયું.એ તસવીરમાં સ્વામિજી મરક મરક હસી રહ્યા હતા.  કંઈક વિચારી એ તસવીર ઉતારી બારી ખોલી બહાર ફેંકી દીધી સુનિલભાઈએ!!

-ઓહ…!

સાવ હતાશ થઈ એઓ પલંગ પર ફસડાય પડ્યા. કંઈક વિચારી એમણે મારિયાને ફોન કર્યો…! થોડી રિંગો બાદ મારિયાએ ફોન ઉપાડ્યો, ‘ડોન્ટ કોલ મી એવર પ્લીઝ..! કોલ માય લૉયર…’ એટલું કહી મારિયા ફોન કાપી નાંખ્યો…!

-હવે…! મારિયાને સમજાવવાનો કોઈ અર્થ નહોતો. આટલા આટલા વરસથી કામ કરતી મારિયાએ સાવ મ્હોં ફેરવી દીધું! એક નરી શૂન્યતા છવાય ગઈ સુનિલભાઈના મનમાં. જાણે સળગતો કોયલો ઉપાડતા હોય એમ એમણે વારાફરતી બન્ને નોટિસ વાંચી. સ્થળ સમય પુરાવા સાથે મારિયાએ પોતાનો કેસ મજબૂત કરી દીધો હતો. કાયદાઓ જટિલ હતા. આમાં ક્યાં સ્ત્રીત્વનું અપમાન હતું? એમણે ક્યાં અપમાન કર્યું હતું? સહેજ વિચારી એમણે દિનુને પોતાના રૂમમાં મોકલવા માટે સ્કોટને કહ્યું. દિનુ આજે ડેસ્ક પર ફરજ બજાવી રહ્યો હતો. ડરતા ડરતા દિનુએ સુનિલભાઈના રૂમના દરવાજે બે ટકોરા માર્યાઃ હવે શું હશે…?

‘જય સ્વામિનારાયણ ભા…ઈ…! મને યાદ કર્યો?’

‘………………….!’ ક્રુધ્ધ નજરે સુનિલભાઈ દિનુએ થોડી ક્ષણો નિહાળતા રહ્યા. દિનુએ જોયું કે સુનિલભાઈના શર્ટના ઉપરના બટનો ખુલ્લા હતા. કદાચ તૂટી ગયા હતા. દિવાલ પર લટકતી તસવીર ગાયબ હતી. સુનિલભાઈ હાલ-બેહાલ હતા.

‘દિન્યા…!’ ઊંડો નિઃશ્વાસ નાંખી સુનિલભાઈ બોલ્યા, ‘આ તારા ગુરુજીએ તો ભેરવી દીધો મને…! બરબાદ કરી નાંખ્યો…!’

‘ગુ…રુ…ઉ…ઉ…જી….ઈ…ઈ…એ…??!!’ દિનુના આશ્ચર્યનો પાર ન રહ્યો. એની આંખો પહોળી થઈ ગઈ.

‘કયા કાળ ચોઘડિયામાં પધરામણી કરી હતી એમની…!’ સુનિલભાઈ ગુસ્સેથી બોલતા હતા, ‘તારી વાતમાં હું આવી ગયો..ને..!’  એમણે ફરી એક નિસાસો નાંખ્યો.

‘પણ થયું શું?’ દિનુને સમજ ન પડી, ‘ગુરુજીએ…?’

‘તારા ગુરુજી અને એના ચેલકાઓ પર સ્ત્રીનો પડછાયો ન પડવો જોઈએ…!બરાબરને…?’

‘હા…! એઓ બાલ બ્રહ્મચારી…!’

‘બાલ બ્રહ્મચારીની તો….!’ સુનિલભાઈએ દિનુની વાત કાપી નાંખી એક ભદ્દી ગાળ દેતાં કહ્યું, ‘તારા ગુરુજીને કારણે મારિયાને મેં અંદર જવા કહેલું…!’

‘હા…!બરાબર…!’

‘એ મારિયાએ સ્યૂ કર્યો છે…મારા પર… સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો…! તારા ગુરુજીને લીધે એને એના સ્ત્રીત્વનું અપમાન થયેલ લાગ્યું એ સ્ટ્યૂપિડ બીચને…!’

‘શું વાત કરો છો ?!!’ દિનુનું મ્હોં પહોળું થઈ ગયું.

‘હા…જો…’ ગુસ્સેથી એમણે પેલી બે નોટિસોના કાગળિઆઓ દિનુના મ્હોં પર ફેંક્યા, ‘આ…જો…સાલીએ પાંચ મિલિયન ડોલરનો સ્યૂ ઠોક્યો છે મારા પર…! હવે કહે તારા અંતર્યામી ગુરુજીને કે બચાવે મને…! મને બરબાદ કરી નાંખ્યો તેં ને તારા ગુરુજીએ….!’ ગુસ્સાથી  કાંપતા હતા સુનિલભાઈ, ‘લગાવ તારા એ ગુરુઘંટાલને ફોન…!’ એમણે એમનો સેલ ફોન દિનુ પર ફેંક્યો જે દિનુએ ચપળતાથી ઝીલી લીધો, ‘લગાવ ફોન… એ…ને ને કહે કે બચાવે મને…!’

ધ્રૂજતા ધ્રૂજતા દિનુએ નંબર ડાયલ કર્યો. સામેથી રિંગ વાગતી રહી. કોઈએ ફોન ન ઊંચક્યો…! દિનુએ પ્રશ્નાર્થ નજરે સુનિલભાઈ તરફ જોયું.

‘મારું ડાચું શું જોઇ રહ્યો છે. મૅસેજ મુક એમને. મારે એમને મળવું છે. તારે પણ આવવું પડશે. સાંજે..આજે સાંજે જ…!’

દિનુએ ડરતા ડરતા મૅસેજ મૂક્યો.

‘અરે…દિન્યા…!’ સુનિલભાઈને એકદમ યાદ આવ્યું, ‘તને તો મારિયા સાથે સારું બને છે ને?!! સ..મ..જાવ…સમજાવ એ રાંડને…!!’

‘ચોક્કસ ભાઈ…!’ હું એને ફોન કરીશ…

‘ફોન પર તો એ કંઈ માને એમ નથી…! રૂબરૂ મળ…! પર્સનલી…!પર્સનલી…! એને કહે કે શા માટે મેં એને અંદર મોકલી હતી…!’

‘હા…ભાઈ હું સાંજે એને મળવા જઈશ…! મારે ટેક્સી લેવી પડશે.’ દિનુ પાસે કાર નહોતી.

‘લે…!’ સુનિલભાઈએ એને થોડા ડોલર આપતા કહ્યું, ‘જોઈએ તો હમણાં જ નીકળી જા. તને તો એના ઘરનું એડ્રેસ તો જાણ હશે ને!’

‘ના…! પણ એ તો આપણા એમ્પલોઈના ડેટાબેઇસમાં હશે એ સ્કોટ પાસેથી મેળવી લઈશ. તમે ફિકર ન કરો…!’

‘અ…રે…!!શું ફિકર ન કરો…! આ યુનાઈટેડ સ્ટેટ ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના કાળા કાયદાઓ બહુ ખરાબ હોય છે. અને એઓ કોઈનું સાંભળે નહિ!’

સાંજે દિનુ સાથે સુનિલભાઈ ગુરુજીને મળ્યા. ગુરુજીએ તો હાથ ઊંચા કરી દીધા. કહી દીધું કે કોર્ટ કચેરીના મામલામાં એઓ ન પડે. આ તો સુનિલભાઈના નિમંત્રણને માન આપી એઓ મોટેલ પર ગયેલ. હવે એમાં એમનો શો દોષ?

સુનિલભાઈની નિદ્રા વેરણ થઈ ગઈ. બ્લડ પ્રેશર વધી ગયું. બીજા દિવસે એઓ એમના વકીલને મળ્યા. મારિયાના લૉયરની નોટિસ અને ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના કાગળો લઈને. સુનિલભાઈએ એમના વકીલને કહ્યું કે એમણે જ મારિયાને અંદરના ભાગમાં જવા માટે કહેલ અને મારિયા વિરોધ કરેલ. વિચારણાઓ થઈ. ખુદ એમના વકીલે કહ્યું કે કેસ નબળો છે. છતાં અપીલમાં જવાનું નક્કી થયું. એક મહિના પછી કેસ ખૂલ્યો. સુનિલભાઈના કમનસીબે મહિલા ન્યાયાધિશ સાન્દ્રા ડિ’સોઝા પાસે કેસ ગયો. સ્ત્રી ન્યાયાધીશ…! સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો કેસ! ઓહ…! વળી મારિયા પાસે બે વિડિયો ટેઇપ હતી. જે એના લૉયરે કોર્ટમાં રજૂ કરી જેમાં સુનિલભાઈ મારિયાને બે-બે વાર અંદર જવા માટે આદેશ આપતા સ્પષ્ટ દેખાતા હતા અને મારિયાએ શાંત સ્વરે એનો વિરોધ નોંધાવેલ એ પણ સ્વયં સ્પષ્ટ હતું. આ વિડિયો મોટેલમાં જ મૂકેલ સિક્યુરીટિ કૅમેરા દ્વારા ટાઈમ અને તારીખ અને સમય સાથેની હતી એટલે કેસ એકદમ નબળો પડી ગયો!  આ ટેઈપ મારીયા પાસે કેવી રીતે આવી? સુનિલભાઈ વિચારતા રહ્યા. જ્યૂરીનો નિર્ણય પાંચ દિવસ બાદ આવવાનો હતો.

સુનિલભાઈની ઉંમરમાં જાણે દશ વરસનો વધારો થઈ ગયો હતો. સાવ હારી ગયા હતા એઓ. મારિયાને પૈસા આપવા સિવાય છૂટકો નહોતો. નહિતર મારિયા એમને જેલવાસની સજા થાય એ માટે દબાણ કરે…! જેલવાસ…કેદ…! ઓહ…!! એમના વકીલે સલાહ આપી કે હવે કોર્ટ બહાર કેસનો ઊકેલ આવે તો કંઈ રાહત થાય બાકી જડ્જ સાન્દ્રા ડિ’સોઝા અને જ્યૂરીના આદેશમાં કદાચ વધારે કડક સજા અને પૅનલ્ટી આવી પડે. જ્યૂરીમાં પણ સ્ત્રીઓની સંખ્યા વધારે હતી.

સુનિલભાઈના વકીલ મારિયાના લૉયરને મળ્યા અને કોર્ટ બહાર સુલેહ-સમાધાન કરવાનું નક્કી થયું. મારિયા માંડ તૈયાર થઈ. પણ એણે  પાંચ મિલિયન ડોલરથી એક પણ પૈસો ઘટાડવા માટે નન્નો ભણી દીધો. સુનિલભાઈને ડિપ્રેશનનો ભારે ઍટેક આવ્યો. એઓ સુનમુન થઈ ગયા હતા. એમને કોઈ વાતમાં રસ ન રહ્યો. મારિયાએ અને એના લૉયરે એક મહિનાની મુદત આપી. સુનિલભાઈના કુટુંબીજનો પણ ગમે તે રીતે મારિયાથી પીછો છોડાવવા માંગતા હતા. દરેક મોટેલના સુનિલભાઈ સોલ પ્રોપ્રાયટર હતા. જાત મહેનત કરીને એમણે સામ્રાજ્ય ખડું કર્યું હતું. એમણે બે મોટેલ વેચવા કાઢી…! ડાઉન ઈકોનોમીના કારણે ભાવ ઓછા આવતા હતા છતાં એમણે એ વેચી નાંખી તો મારિયાએ એક મિલિયન ડોલર ઓછા કર્યા.

જે દિવસે મારિયાને ચાર મિલિયન ડોલર આપવામાં આવ્યા એ દિવસે જ  બિચારા સુનિલભાઈને મેન્ટલ રિહેબમાં દાખલ કરવા પડ્યા. તો બીજી બાજુ બે ભાગ્યશાળી વ્યક્તિઓએ એમના નવજીવનનો શુભારંભ કર્યો. એ હતા દિનુ અને મારિયા! દિનુનાં ગુરુજીના ‘પધરામણી’ના બેજોડ આયોજને રંગ રાખ્યો હતો. રોડપતિ દિનુ મારિયાના પતિની સાથે સાથે કરોડપતિ બની ગયો હતો.  દિનુ અને મારિયાના લગ્ન થયા હતા અને  દિનુ અને મારિયાએ  બે મોટેલ ખરીદી હતી કે જે સુનિલભાઈએ વેચી હતી…પાણીના ભાવે!!

(સમાપ્ત)
______________________________________________________________________________________________________________________
આપને પસંદ પડી ‘પધરામણી’ વાર્તા?
આ વાર્તાને પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર સાચવો, પ્રિન્ટ કરો, મિત્રોને મોકલો.

151 comments on “પધરામણી

  1. નટવર મહેતા કહે છે:

    પૂજ્ય વડીલો અને સ્નેહી મિત્રો,

    કેવી લાગી વાર્તા ‘પધરામણી”???

    આશા રાખું છું કે આપ સૌને આ વાર્તા પસંદ આવી હશે.
    આ વાર્તાનું બીજ એક સત્ય ઘટના આધારિત છે અને એમાં મેં મારી કલ્પના રંગો પૂર્યા છે.

    આપના નિખાલસ પ્રેરણાત્મક પ્રતિભાવ/ Comments માટે પ્રાર્થના છે…
    આભાર…

    • parth કહે છે:

      Namaskar,

      Pahela su reply aapvo tena mate words j nota malta! Mane varta aane kavita vanchva khub j game che pan library ma jata dar lage che aa varta ghana time pela (abt15 of 1 month) pahela vanchi hati ! ane khub j gami!mara father ne b vanchan aane lekhan no khub shokh hato pan ghar ni jaruriyato na karne te bandh karyu! jo time male to email par vat karjo ghani vato karvi che!!!

  2. Viren Shah કહે છે:

    વાર્તાનો કન્સેપ્ટ અને લખાણ સુંદર છે. સરસ વાર્તા છે. જો કે દિનુએ સાચા રસ્તે કમાણી કરી હોત તો વાંચવાની વધુ મજા આવત.
    દિનુએ જે આઈડિયા કર્યો એ વાંચવાની તો મજા આવી જ.

    • Viren Shah કહે છે:

      વાર્તામાં સુનીલભાઈનો શું વાંક? હકીકતે સુનીલભાઈ જેવી વિચારસરણી આપણા દેશમાં ઘણા જ લોકોની હોય છે. એક કંપની કે દુકાનના માલિક હોય ત્યારે કામ કરતા કર્મચારીઓ જોડે આ લોકો જે નિમ્ન કક્ષાનું વર્તન કરતા હોય છે. કેટલાયે મુવીમાં અને વાર્તાઓમાં શેઠ એમના નોકરીયાતોનું બેફામ શોષણ કરતા જોવા મળે છે. નોકરિયાતો શ્વાસ લેતા માનવો છે એવું માનવાને જ શેઠ તૈયાર નથી હોતા. હવે આવું લેટેસ્ટ કોર્પોરેટમાં પણ જોવા મળે છે. જાહેરમાં બોસ એની હાથ નીચેના એમ્પ્લોયીને ખખડાવે, બેહુદુ વર્તન કરે અને ઘણી વાર તદ્દન Unethical કામો કરતા પણ જોવા મળે. (આવું એક લેટેસ્ટ મુવી “રોકેટસિંઘ સેલ્સમેન ઓફ ધ ઈયર”માં જોવા મળી શકે છે.) મૂળે દેશી વ્યક્તિની પ્રકૃતિ જ એવી કે પોતાના હાથ નીચે કામ કરતો વ્યક્તિ તન, મન અને ધનથી એને જાણે કે ખરીદી લીધો છે. એટલે કેટલીયે વાર શોષણખોર શેઠ દુખી કે બરબાદ થઇ જાય તો વાર્તા વાંચનારા તમામ ખુશ થઇ જતા હોય છે.

      એક ઉદાહરણ યાદ આવે છે: સોફ્ટવેર કંપનીના એમ્પ્લોયીએ બધું સોફ્ટવરે સબમિટ કરી નાખ્યું પછી સાંજે નવ વાગે એના બોસનો એના પર ફોન આવ્યો કે એની જરૂર પડી છે એટલે કંપની પર આવી જાવ. એટલે પેલો એમ્પ્લોયી જીમમાંથી સીધો ઓફીસ પર ગયો. કામ એ હતું કે સોફ્ટવેરમાં એક લાઈનની કમેન્ટ બાકી હતી. આ કામ એવું કે ના કર્યું હોય તો પણ ચાલે. પરંતુ દેશી બોસ હોય એટલે આવું બધું કારણ વગરનું હેરાન કરે, બિન-પ્રોફેશનલ વર્તણુક કરે, એવું બધું. એના મનમાં એવું કે જોયું, કેવો મારા તાબામાં છે.

      અમેરિકન કલ્ચરમાં આવું ઓછુ જોવા મળે છે. બોસ તમને કામ આપે પછી વારમવાર તમારી જોડે દર દસ મીનીટે આવીને એમ ના કહે કે થયું કે નહિ.

      હવે આની જોડે જોડે બીજી અગત્યની વાત કે બધા નોકરિયાતો પણ દુધે ધોયેલા નથી હોતા. જેમ કે દિનુ અહી પૈસાની ચોરી કરતો હતો કે ઘણી વાર એમ્પ્લોયીને કામ જ ના કરવું હોય પણ ઢસરડા કર્યા કરતા હોય.

      આમ છતાયે શેઠ કે બોસની મેંતાલીટી કોઈ જ પ્રકારે પ્રસંશનીય નથી હોતી. એટલે જ સુનીલભાઈનો દાવ થયો એમાં ઘણા જ લોકોને મજા આવી જાય. સુનીલભાઈ દિનુ અને એના જેવાને મોટે ભાગે પ્રાણી સમજતા હોય છે. ઉપરાંત મૂળે સ્વાર્થી પણ ખરા કે જેથી કામ પડે અને કામ મળે એટલું કાઢવી લે, એટલે સુધી કે દિનુ જોડે હાથ-પગ દબાવાવનું કામ પણ કરાવી શકે. તો દિનુ છેવટે મનમાં ગુસ્સે ના થાય તો શું થાય? એની સામે તમે અમેરિકામાં સ્ટારબક્સ કોફી કે એ પ્રકારની દુકાનમાં કામ કરતા હોવ તો આવું ગંદુ કલ્ચર જોવા ના મળે.

      અંતે આ લખાણમાં અમેરિકા મહાન છે અને ભારત પછાત છે એવું કહેવાનો આશય નથી. મુદ્દો એ છે કે એમ્પ્લોયર-એમ્પ્લોયી રિલેશનમાં એક નવીન વિચાર શક્ય છે જ્યાં દરેક જન સન્માન પૂર્વક કામ કરી શકે છતાયે કોઈને નુકશાન ના થાય. આ પ્રકારની વિચારસરણી આપણે ત્યાં નથી એટલે જ અમેરિકામાં આવીને પ્રોફેશનલ કે બીઝનેસ ખાતે આવું શોષણખોર પ્રકારનું અને બેહુદુ વાતાવરણ ક્યાંક ને ક્યાંક જોવા મળી જાય છે જ્યાં સુનીલભાઈ કે બીજા દેસી લોકો હોય. પણ એનો અર્થ એવો નથી કે બધા જ એવા છે કે દરેક અમેરિકન જગા સ્વર્ગસમાન છે.

  3. અખિલ દેસાઈ કહે છે:

    ફરી એક વાર નટવરભાઈની સરસ વાર્તા. સાવ અંતમાં ખૂલતો ઘટ સ્ફોટ. નવિન પ્લોટ. આપની વર્ણનશક્તિ કાબીલે તારિફ છે. અને આ પ્લોટ તો કોઈ જ ન વિચારી શકે એવો સાવ મૌલિક. આપની અન્ય વાર્તાઓ વાંચવી પડસે.

  4. Dr.Hitesh Vyas કહે છે:

    અદભૂત …..આપની વાર્તા માં કૈક અલૌકિક તત્વ છે , જે જકડી રાખે છે. પરંતુ તે સવાલોનો ભંડાર છોડી જાય છે. કેમ અસત્યની જ હમેશા જીત થતી હોય છે? સુનીલભાઈનો આમાં શું વાંક ?
    ધર્મ અને સાધુઓમાં વિશ્વાસ કરવોકે ન કરવો? આપની લખવાની શૈલી વાચકોને વિચારવા મજબૂર કરે છે..

  5. jignesh કહે છે:

    I agree with Dr.Hitesh. This story make wrong impression on reader. Don’t favour wrong part of the society. If in the end Dinu saves Sunilbhai then it will be more appreciable. This is my opinion and may others or even author are not agree with me. I strongly believe that end of any story must be positive and favouring the victory of truth. Thanks.

  6. JITENDRA J. TANNA કહે છે:

    ખુબ સરસ વાર્તા. આપની વર્ણનશક્તિ અદભુત છે.

  7. Naushad કહે છે:

    Story Was superb, Story means Story, It should not B in any favour or there should not B alwasy positive message.
    In my opinion, Story Climax was superb.
    Have you ever seen ” Mist ” Picture?? The end is unbelievable…… Out of our mind and Shocking..
    So that way it should be.

  8. Hemang Parekh કહે છે:

    વાર્તા વાંચીને મઝા આવી ગઈ. તમે જે સત્ય ઘટના નો ઉલ્લેખ કર્યો છે તે મેં થોડા દિવસ પર પેપર માં વાંચી હતી.

    એકવીસમી સદી ના આ જમાનામાં હજુ બાવાઓ ૧૩ મી સદી ના વિચારો ચલાવવા માંગે તે કેમ ચાલે ? આવો તે કેવો તેમનો મગજ પર control કે ફક્ત સ્ત્રીઓને જોવાથી જ વિકાર આવી જાય ? એક બાજુ આપને સ્ત્રીઓ ને માં નું સ્થાન આપીએ છીએ ત્યારે આ બાવાઓ દ્વારા સ્ત્રીઓનું અપમાન નથી શું?

    આવીજ એક સત્ય ઘટના વલસાડ માં પણ બનેલી પણ અહી લખી શકાય એવી નથી ક્યારેક રૂબરૂ મળીશું ત્યારે જણાવીશ.

    ફરી આવીજ રીતે નવીન વાર્તાઓ આપતા રહેજો.

    જય શ્રી કૃષ્ણ

    હેમાંગ પારેખ

  9. rajnikant shah કહે છે:

    yes i feel that role of swami stated in story is not be fitting to his status.
    swamis only advice for ‘atma’ na udhdhar.

  10. jagadishchristian કહે છે:

    સરસ વાર્તા. આપણા જ લોકો આપણું શોષણ કરતા હોય છે એ કરુણ વાસ્તવિકતા છે. મૂળ ભારતનું લોંગ આઈલેંડમાં રહેતું એક ધનાઢ્ય દંપતી આવા શોષણ માટે અત્યારે જેલની હવા ખાઈ રહ્યું છે. ધર્મનો ઉપયોગ પણ ખાલી ધન મેળવવાનો ધંધો થઈ ગયો છે. દરેક ધર્મના કેટલાય સાધુઓના સેક્સકૌભાંડ પકડાતા હોય છે. એટલે દરેક સાધુઓએ સ્ત્રી સાથેનો સીધો સંપર્ક ટાળવો જોઈએ. પણ સ્ત્રીનું મોઢું સુધ્ધાં ન જોવું એ વધારે પડતું છે એવું મારું માનવું છે.

  11. Vinod Patel કહે છે:

    This is your one more good story,Natvarbhai.You have got very good and captivating narrative style.Reader goes on reading with interest upto the end.The end of your stories is full of surprises.There are many Indians in Motel industry like Sunilbhai in uSA who exploit their needy Indian employees like poor Dinu .They should be tought a lesson of life which you have done in your story.
    I suggest you shorten the length of narrative in story to make it short and sweet.Good amount of patience is required to completely read your stories.You can afford to do it in novel form but not in short stories.Thanks.

  12. NAVIN BHATHELLA કહે છે:

    Dear Natverbhai,

    Good concept and consonant of our (Gujarati) Hindu
    belief and practices of the religion. Congratulation.
    One more topic of suggestion if you wish to write for our North Amrican Gujaraties “BAP NA MARANMA LIMOUSINE SERVICE”

  13. Joseph Parmar કહે છે:

    Dera Natvaerbhai,
    Good story. combination of Indian & American life. Congratulation! Try to write on regular time base.
    Joseph Parmar

  14. pinky કહે છે:

    Good Story, i read this news in our Gujarat samachar few weeks back. I agree with prevoius comment, if swamijis do not have control over their mind, we should not worship/follow them. They can always see mother in every woman, if ther are real follower of religion. They seen this world through a woman (mother), how can they be so ignorant?. Mr. Mehta, you have done a good job with this subject. Our desis are to blame up to a point. They forget how they reached the position.

    • satyapriy કહે છે:

      આ વાર્તા છે તે હું સારી રીતે જાણું છું અને વાર્તા માં કોઈ પણ કથાવાસ્તુનો આધાર લઇ શકાય.
      પરંતુ જે રીતે નટુભાઈ સ્વામીનારાયણ સંપ્રદાય નો જ આશરો લઈને વાર્તા લખે છે જે થોડુક રુચતું નથી આથી થોડુક લખવાની ઈચ્છા થઇ આવી.
      એક વાત સ્પશત કરી દુ કે હું આ સ્વામીનારાયણ તરીકે નથી લખતો પરંતુ એક હિંદુ તરીકે લખું છું અને સ્વામીનારાયણ સંપ્રદાય એ હિંદુ ધર્મ નો જ એક સંપ્રદાય છે. એ કોઈ અલગ ધર્મ નથી. અને આ વાત હું સ્વામીનારાયણ સંપ્રદાય વિષે વાંચ્યા અને જાણ્યા પછી લખી રહ્યો છું.
      હું પોતે પણ વાર્તા લખું છું અને વાર્તા લખવાનો હેતુ શું હોવો જોઈએ એ વાર્તાકાર ના મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. વાર્તા કોઈ ધર્મ , સંપ્રદાય કે જાતિ ની લાગણી દુભાય એવી ના હોવી જોઈએ. બીજી વાત વાચકો માટે કે કોઈ પણ ટીપ્પણી કરતા પહેલા વસ્તુ નું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
      કેટલાક મુદ્દા પર મારે પણ કૈક કહેવું છે.
      બધા સાધુ સરખા નથી હોતા. જેમ બધી બસ દેખાવ માં સરખી લાગે પણ તે બધી બસ આપણા ડેસ્ટીનેશન પર નથી લઇ જતી એમ બધા સાધુ સરખા લાગે પણ સ્વામીનારાયણ ના સાધુ અને એમાય ખાસ BAPS ના સાધુ આ બધા સાધુ કરતા અલગ છે.
      આ સંપ્રદાય માં કઈ એવું નથી કે ‘ ના મળ્યું ખાવા અને થઇ ગયા બાવા’. આ સંપ્રદાય માં ૭૦ થી વધારે એન્જીનીયર સાધુ છે, ૬ જેટલા તો ડોકટર સાધુ છે અને કેટલાયે યુવાનો અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશના ભણેલા ગણેલા યુવકો છે. આ કઈ ઘેટાઓનું ટોળું નથી.
      સંત ની સમાજ ને શું જરૂર છે?
      જેટલી જરૂર બાળક ને માની છે, જેટલી જરૂર સમાજ ને ડોકટર અને વકીલ ની છે એટલીજ અને કદાચ એના કરતા વધારે જરૂર સમાજ ને આજે સાચા સંત ની છે. મહત્વની વાત એ છે કે સાચા સંત કોણ છે એ આપણે શોધવું પડે. આપણે આજે બધાને એક લાકડી એ જ હાંકી કાઢીએ છીએ.

      તમારી બાજુવાળા ની માં કોઈ પર પુરુષ સાથે ભાગી જાય કે લફરું કરે એટલે તમે તમારી માં ઉપર શંકા કરશો ? ના …કારણ કે તમે તમારી માને જાણો છો. એજ રીતે કોઈ ભગવા કપડાધારી ના વર્તન સાથે તમે બધાને ના સરખાવી શકો.

      સ્વામીનારાયણ સંપ્રદાય માં સ્ત્રી પુરુષ અસમાનતા છે એ ગેરસમજ ની વાત કરું તો….
      આજે જો સંપ્રદાયની સ્ત્રીઓ એમ માનતી હોત કે સંપ્રદાયમાં સ્રીઓ ની લાગણી દુભાય છે, તેમને ધુત્કારવામાં આવે છે તો આ સંપ્રદાય આજે માત્ર વાંઢા ઓ નો સંપ્રદાય હોત. કારણ કે સ્ત્રી પોતે તો ના જ આવત પણ પોતાના પતિ ને પણ સંપ્રદાય માં આવવા ના દેત. આપની જાણ ખાતર આજે આ સંપ્રદાય માં ૪૫% ભાઈ ઓ અને ૫૫% બહેનો અનુયાયી છે. સંપ્રદાયની બહેનો પોતાના એક ના એક દીકરાને સાધુ બનવાની રજા આપે છે. બહેનો પોતાના એકના એક ભાઈ ને સાધુ બનવાની રજા આપે છે. જો તેમને એમ લાગતું હોત કે સંપ્રદાયમાં તેમનું અપમાન થાય છે તો શું તેઓ આમ કરત? એકાદ બે જણ નું brainwash કરી શકાય. કદાચ અભણ નું કરી શકાય. અમેરિકા , ઇંગ્લેન્ડ માં રહેતી, સ્ત્રી સ્વતંત્ર માં માનતી બહેનો નું brainwash થયેલું છે ? આજે પોતાના ભાઈ દીકરા ને સાધુ બનાવવા રાજી ખુશીથી રજા આપે છે. શું તમે એમ માનો છો કે તે ગાંડા છે? સંપ્રદાયમાં બહેનોનું involvement ભાઈઓજેટલું જ છે. સંપ્રદાયમાં સ્ત્રી પુરુષ અસમાનતા નથી પણ એ સંપ્રદાયનો નિયમ છે.
      ડાબી બાજુ ગાડી ચલાવવાનો નિયમ હોય અને તમે ડાબી બાજુ ગાડી ચલાવો એટલે જમણી બાજુનું અપમાન કર્યું ના કહેવાય.ડોક્ટર ઓપરશન રૂમ માં સગાને આવવા ના દે તો એ સગાનું અપમાન કર્યું ના કહેવાય. ૯૦% માર્ક લાવવા માટે વિદ્યાર્થી movie જોવાનું બંધ કરે તો એને એક્ટર નું અપમાન કર્યું ના કહેવાય, જેટલી ઉંચાઈએ પહોંચવું હોય એટલા જ કડક નિયમ પાળવા પડે. આ એક આધ્યાત્મિક સંપ્રદાય છે. જો તમારે આદ્યાત્મિક ઉંચાઈએ પહોંચવું હોય તો આધ્યાત્મ ના નિયમો પાળવા પડે. કીડની નું ઓપરેશન રોડ પર ના થાય. આધ્યાત્મ નો માર્ગ કઈ ધાધર ગુમડા મટાડવા નો માર્ગ નથી. એ એક કઠીન માર્ગ છે . એક સાધના છે. આ કોઈ અપમાન કે તિરસ્કાર નથી પણ એક નિયમ છે. જુઓ આજે સમાજ માં, વાંચો છાપો, એટલે ખબર પડશે..સ્ત્રી પુરુષ ભેગા થાય એટલે કામવાસના પ્રદીપ્ત થયા વગર ના રહે. એમાં સ્ત્રી કે પુરુષ કોઈનો વાંક નથી પણ વાંક છે અંદર પડેલી વાસના નો. અને એ વાસના જેટલી પુરુષ માટે અધ્યાત્મ માં વિધ્ન કારક છે એટલી જ સ્ત્રી માટે પણ છે. ઘી અને અગ્નિ ભેગા થાય એટલે ઘી પીગળે જ. એ કુદરતી છે. કબીર જી એ પણ કહ્યું છે કે ‘ જહાં જલાઇ સુંદરી મત જાઓ વહાં કબીર, ઉડતી ભભૂત જો લગે તો સુના કરે શરીર. ‘ કબીર જી તો એમ કહે છે કે જ્યાં સ્ત્રી ના શરીર ને અગ્નિદાહ આપ્યો હોય ત્યાં સાધના કરતા પુરુષે ના જવું . એની ભભૂત તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરી શકે છે. જો હિંદુ શાસ્ત્ર નું જ્ઞાન હોય તો વિશ્વામિત્ર ઋષિ વિષે ખબર હશે જ. આજે દુનિયા માં એક પણ માણસ એવો બતાવો કે એણે વિશ્વામિત્ર જેવી સાધના કરી હોય. એમ છતાં એક મેનકાજી ને જોયીને એમને વિકાર થયો અને એક પુત્રી નો જન્મ થયો. પરાશર ઋષિ ની સાધના પણ અજોડ હતી છતાં એક માછીમાર સ્ત્રી ની નૌકામાં માત્ર નદી પાર કરી અને એમને વિકાર થયો અને ભગવાન વ્યાસજીનો જન્મ થયો. નારદજી પણ એક ઉત્તમ સાધક હતા. એક રાજા એ તેમની પુત્રી નો હાથ જોઇને તેમને સારો વર બતાવવા કહ્યું અને નારદજી ને પરણવાની ઈચ્છા થઇ આવી…..આવા અનેક ઉદાહરણો આપણા હિંદુ શાસ્ત્રમાં લખેલા છે. એટલે જ જો તમારે આધ્યાત્મિક ઉંચાઈ પ્રાપ્ત કરાવી હોય તો સ્ત્રી પુરુષ મર્યાદા રાખવી જ જોઈએ. છાપાઓમાં જે વાંચો છો એ પરથી એટલો તો ખ્યાલ આવે કે જે ગુરુ અને સાધુઓ ની સેવામાં સ્ત્રી હોય છે , જ્યાં સ્ત્રી પુરુષ મર્યાદા નો ભંગ થાય છે ત્યાં કામ નો કીડો સળવળે જ છે. અને આ સમાચાર તો માત્ર ૧૦% જ છે ૯૦% તો વાતો બહાર આવતી જ નથી. હવે તમને એમ થાય કે દરેક સ્ત્રી માં માં, બહેન જુએ તો વાંધો ના આવે. તો હવે તમને એ પણ વાત કરું કે ભાગવત માં એક પ્રસંગ છે. વ્યાસજી ભાગવત બોલતા હોય છે અને જૈમીની ઋષિ ભાગવત લખતા હોય છે. ત્યારે એક શ્લોક આવે છે કે પોતાની માં દીકરી સાથે પણ એકાંત માં ના બેસવું. જૈમીની ઋષિ કહે છે કે એવું થોડું હોય. માં દીકરી જોઇને થોડો વિકાર આવે. આથી વ્યાસજી કહે છે કે સારું. એ શ્લોક ની જગ્યા છોડી ને આગળ લખો. થોડાક દિવસો પછી જૈમીની ઋષિ આશ્રમ માં હોય છે ત્યારે ખુબ વરસાદ પડે છે અને અંધકાર છવાઈ જાય છે. એ વખતે તેમના સગ્ગા બહેન તેમાં ફસાયી જાય છે અને જૈમીની ઋષિ નો આશ્રમ નજીક હોવાથી પોતાનો સગ્ગો ભાઈ હોવાથી ત્યાં આશ્રય લે છે. જૈમીની ઋષિ તેમને એક રૂમ માં આસરો આપે છે અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી સુઈ જવાનું કહે છે. અંધકાર, એકાંત અને ભીનું શરીર જોયીને ઋષિને વિકાર થાય છે અને રાત્રે બહેન ના રૂમ નું બારણું ખખડાવે છે. બહેન ખોલતા નથી. આથી ઋષિ ઉપર નળિયામાંથી અંદર પ્રવેશે છે અને બહેન ને આલિંગન માં લે છે. ત્યારે ખબર પડે છે કે એ બહેન નહોતા પણ ભગવાન વ્યાસ તેમના બહેન નું રૂપ લઈને આવેલા . અને પછી વ્યાસજી તેમને પેલી ખાલી છોડેલી જગ્યામાં એ શ્લોક લખવાનો કહે છે. એટલે માત્ર માં દીકરી બોલવાથી વાસના ના પુર ઓછા નથી થતા. અને એટલે જ આ સ્ત્રી પુરુષ મર્યાદાની જરૂર છે. આમાં બહેનો નું કોઈ અપમાન નથી. આ નિયમ છે આ મર્યાદા છે.
      જો તમને અસમાનતા ખૂંચતી હોય તો એક વાત નો જવાબ આપો.
      તમે દાઢી મૂછો ઉગાડો છો…તો તમારી માં બહેન દીકરીઓને સમાનતા આપવા કેમ hair transplant કરાવીને દાઢી મૂછો ઉગાડતા નથી ?
      સ્ત્રીઓને સમાનતા આપવા એક પુત્રને સ્ત્રી જન્મ આપે અને એક પુત્રને તમે જન્મ આપો
      ૧૫ દિવસ બાળક ને તમે ધવદાવો અને ૧૫ દિવસ તમારી પત્ની ધવદાવશે…સ્ત્રી પુરુષ સમાનતા ….
      અને નટવરભાઈ, જો તમારે વાર્તા તત્વ માં સ્ત્રી પુરુષ અસમાનતાની જ વાત કરાવી હતી તો હિંદુ ધર્મના જ સંપ્રદાયનો આશરો શું કરવા લો છો. શું માત્ર હિંદુ ધર્મના આ સંપ્રદાય માં જ તમને આ અસમાનતા દેખાયી ? મુસ્લિમ બહેનો બુરખો પહેરે છે એ શું સ્ત્રી પુરુષ અસમાનતા નથી? તાકાત છે તમારા માં એ કથાબીજ ને તમારી વાર્તામાં લેવાની? તમારે તો વાર્તા જ લખવી છે ને…અરે..નટવરભાઈ હિંદુ થયીને હિંદુ ધર્મના સંપ્રદાય ની ખોદો છો ? આપના માં બાપ બંને હિંદુ જ હતા કે પછી ….
      અને વાચકો, …. જો આપના માં બાપ હિંદુ હોય તો હિંદુ ધર્મ ને જાણો….હિંદુ શાસ્ત્રો વાંચો…અને આ નટુભાઈ જેવા કહેવાતા હિંદુ વાર્તાકારોને સાચી વાત સમજાવો…..આ સ્ત્રી પુરુષ મર્યાદા કોઈ સ્વામીનારાયણ ભગવાને ઉપજાવી કાઢેલી વાત નથી …આપણા હિંદુ શાસ્ત્રમાં લખેલી વાત છે

      • Ann Lewis કહે છે:

        Shut the f**k up. this is just a story. Why don’t you understand.

        • satyapriy કહે છે:

          Ann Lewis,
          This is the reply to Ms Pinky’s comment and some other reader’s comment if you look carefully.
          And one more thing,
          This is Mr. Mehta’s second story with the same center point.
          If his aim was to show sex discrimination in the religion, he could have shown it to some other religion other than hindu.
          Does he have that courage to write ??
          If not then why should he writes against hindu religion being a hindu ?
          I am not against the story but by taking help of story if you do the same thing repeatedly than it should be something else other than just a story.

          • Anna કહે છે:

            lol…. Don’t take it to yourself and just enjoy the story. I don’t think he is trying to pin point any particular religion. He just took an example in this. I do believe that BAPS has the strongest “SANTS” and they’ve never caught in any controversy. But if you pay more attention here the culprit is not BAPS it’s the main character of the story “Dinu”. So pls “Dil pe mat le yaar”

      • nishi કહે છે:

        anybody easily can understand that U r swaminarayan and BAPS is great there is no doubt about that if sant believs that they should not see the lady than y they born from the ladies. Swaminarayan bhagvane evu nathi kayu ke ladies ne na juo.. a to badhu banavi didhelu che shikhsa parti ma kya lakhyu che ke ladies ne jovati pap thay che……….

        jo tamari lagni dubhai hoy to maf karsho pan a j satya che

      • ATMA કહે છે:

        ज्ञान का कोई पक्ष नहीं है। सभी पक्ष अज्ञान के हैं। ज्ञान तो निष्पक्ष है।
        विचारों को छोड़ों निर्विचार हो रहो। पक्षों को छोड़ो और निष्पक्ष हो जाओ।
        भय कंपन है, अभय थिरता है। भय चंचलता है, अभय समाधि है।”
        सत्य की खोज में भय को कोई स्थान नहीं। स्मरण रहे कि भगवान के भय को भी स्थान नहीं है। भय तो भय है, इससे कोई भेद नहीं पड़ता कि वह किसका है। पूर्ण अभय सत्य के लिए आंखें खोल देता है।

      • સરસ અદભુત જવાબ લખ્યો છે.

  15. Rajesh Choksi કહે છે:

    નટવરભાઇ, તમારી ‘પધરામણી’ વાર્તા ઍક બેઠકે વાંચી ગયો. વાચકને પકડી રાખે તેવું કૌવત આ વાર્તામાં છે. રસપ્રદ!!
    અમેરીકામાં રહેતા ભારતીયોના સંઘર્ષ જીવન સંબંધિત આવી વાર્તા ઍ રીતે અનોખી લાગી. વાર્તામાં જે રીતે દગા-ફટકા નો ખેલ છે, તે વાર્તા -તત્વ મજબૂત બનાવે છે પણ અંતરને અસ્વિકાર્ય બની રહે છે..કદાચ આ તેની મર્યાદા છે અને તે કઠે છે!
    ઍક વાર્તાકાર તરીકે તમે ઍક નવા જ વિષય-વસ્તુ સાથે તમારો કસબ રજૂ કરવામાં નોધપાત્ર રીતે સફળ રહ્યા છો, તેની કોઈ ના નહી પાડી શકે! ખૂબ ખૂબ અભિનંદન, નટવરભાઇ!!.. અમેરીકામાં રહેતા ભારતીયોના જીવન સંબંધિત વધુ ને વધુ વાર્તાઑ ની અપેક્ષા તમારી પાસે હવે છે, નટવરભાઇ!

  16. Sejal કહે છે:

    ઘણી જ સુંદર વાર્તા.
    શરૂઆતમાં લાગ્યું કે ક્યાંક આવું કંઈક વાંચેલું છે. અને તરત યાદ આવી આયો કહાંસે ઘનશ્યામ. જો કે તેના કરતાં તદ્દન ભિન્ન વાર્તા. ખરેખર નક્કી કરવું અઘરું બની જાય કે સાચું કોણ …
    પણ ખરેખર સુનીલભાઈને ખાલી પોતાની હોટલમાં ચોરી પકડવાના 4 બિલિયન ભારે પડી ગયા. પણ આવી બાબતે જો તે આવું વર્તન ન કરે તો મોટલ કેમની ચલાવવી તે પ્રશ્ન થઈ પડે. અને તેમનું વર્તન ગુસ્સે ભરાયેલ સામાન્ય વ્યક્તિથી અલગ નહોતું.
    આ તો મારો અભિપ્રાય છે બાકી અમેરિકા અને ત્યાંની લાઈફ સ્ટાઈલ વિશે વઘુ માહિતી નથી.

  17. Hiral Vyas "Vasantiful" કહે છે:

    Hello Natvar Uncle,

    Really Nice story. Previously I read one story on your site where a person who came to US has beed cheated by his lover and here with some difference in it.

    Keep writing
    Hiral

  18. Amar કહે છે:

    Natver Uncle,
    The concept, The narration, The dialogues, The CLIMAX, everything in this Story ‘Padharamni’ is Best.
    Unique. Super, Innovative.
    Natver Uncle,
    U R The Best…U R The Best…U R The Best…U R The Best…

  19. vidya કહે છે:

    Dear uncle, thanks lot,day i asked you for story and next day i got u r email regarding story,,,,,,,,uncle in this story one thing is true tht in abroad no 1 is urs, i mean parka desh ma tamaru potanu koi nathi hotu,when the people came india they said wel come to usa we r there for u but reality is differant so thts fact,,,,,,,,,,,dinu also faced the same things and he did all things bcaz of his critical situation at the same time if sunilbhai understand him and if not misused him than maybe end was diffrent but anyways its good and enjoyable story i enjoyed and nice end and rest all know the swaminaryan sampradai tht they naver seen the lady face,,,,,,,,,i naver critisies these but i also hate th things tht they not respect lady anyways dont want to go deeply but now again waiting for new story hope so this time have not wait for long time.

  20. ashok gokaldas patel કહે છે:

    Respected Natvarbhai
    I am very glad to see on your block.Very interesting.
    Gujarati people always love this kind of stroy.
    With thanks
    Ashok Gokaldas Patel

  21. Kaushik Patel કહે છે:

    અલગ વિષય,વિશિષ્ટ માવજત,સચોટ લેખન. સરસ વાર્તા.
    લાગે છે કે નટવરભાઈને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કંઇક લાગતું વળગતું લાગે છે. સીધી કે આડકતરી રીતે. કંઇક તો છે. આ એમની બીજી વાર્તા છે જેમાં આ ધર્મને એમણે આડે હાથ લીધો છે. કેમ?

  22. himanshupatel555 કહે છે:

    ગુજરાતી ભાષા માટે જુદો વિષય અને તેની લાક્ષણીક માવજત આ વાર્તાને પોતાનું આગવું સ્થાન આપે છે,અનેક પાઠક સંદર્ભ ધરાવતી વાર્તા વારંવાર વાંચો તો પણ ગમે
    તેવી છે.

  23. pp કહે છે:

    hey Satyapriy..you are absolutely right..
    Natwarbhai is always writing against swaminarayan sampraday indirectly….you should not do that natwarbhai…
    satyapriy , your comment is an eye opening for every hindu.
    do you have any website or blogsite where you write your stories? you really have good knowledge of Hindu dharm.

  24. યોગી કહે છે:

    જય સ્વામિનારાયણ , વડિલ…
    આ ન્યૂઝ થોડા સમય પહેલા પેપર મા ચમકેલા..(લગભગ બે-ત્રણ મહિના પહેલા)..
    હા , એ કોઇ વેલ-પ્લાન્ડ સ્ટેટ્રેજી નહતી.(સમચાર મુજબ)..ને કથાનાયક(કે ખલનાયક?) દીનુ 😉 😉 જેવુ કશુ હતુ નહિ.. આ બાબતે શ્રી નટવરભાઇ સાહેબ ને દાદ દેવી રહી..
    બાકી , ઓરિજિનલ સ્ટોરી મા પણ સ્વામિનારાયણધર્મી સાધુ જ પધરામણી કરે છે..અને મોટેલ માલિક સુનિલભાઇ(નામ બદલ્યુ છે) ને ‘ધ ગ્રેટ અમેરિકન ધૂંબો’ વાગી જાય છે..ગુxસ મા પ્રથમ પાને ચમકેલી આ ન્યુઝ લાઇન હતી..(તારીખ અંગે જાણકારી નથી , ગુ.xસ. વાળા મદદ કરી શકે….)

  25. Anna કહે છે:

    Dear Natukaka,

    Khubaj sunder varta. Vanchavani majja padi gao. Come back with a new story very soon…. do not keep us waiting.

  26. Sanjay કહે છે:

    Cool blooded, religiously planned, and well tailored successfully Organized Crime Story.

    What a planning of Hero Dinu! Best script.

    Thanks Natver uncle. Hates of you. Keep writing

  27. હંસલ કહે છે:

    શ્રી નટવર મેહતા,

    તમારી વાર્તાઓ વાંચી ને ખરેખર નવી લાગે છે કે કઈ રીતે એક જ વ્યક્તિ એટલા બધા અલગ અલગ વિષય પર એટલી સરસ વાર્તાઓ લખી શકે છે. મેં હમણાં જ તમારી વર્તો pustakalay.કોમ પર વાંચી. ઈશ્વરે તમને સાચે જ સરસ લખવાની ભેટ આપેલ છે.

    તમારી એટલી સરસ વાર્તાઓ બધા માટે online મુકવા માટે તમારો ખુબ ખુબ આભાર.
    (via email)
    -હંસલ

  28. શ્રી નટવરભાઈ
    આપે વાર્તાની ગુંથણી સુંદર રીતે કરી છે. આપની શૈલી રોચક છે અને વાચકને પકડી રાખે છે. મોટેલના માલિક સુનિલભાઈએ અમેરીકા આવી અનેક મોટેલો ખરીદી તે વિષે જો થોડું વધારે લખાયું હોત તો તે આટલા ધનિક કેવી રીતે થઈ શક્યા તે જાણી શકાયું હોત ! મારા ધારવા પ્રમાણે સુનિલભાઈ બહુ જ ટુંકા ગાળામાં ધનિક બન્યા હોવા જોઈએ. એક કહેતી છે કે રાતોરાત ધનિક બનનાર પાછળ કોએ ને કોઈ ગુન્હો છૂપાયેલો હોય છે અને જો સુનિલભાઈ પણ રાતોરાત પૈસાવાળા થયા હોય તો તેમને પણ આ કહેતી લાગુ પડે અને તો દીનુએ જે કંઈ કર્યું તે માત્ર ( Poetic justice ) જ ગણાય્ રહી વાત મારીઆની સ્ત્રી સન્માન જળવાવું જોઈએ અને તેમાં સુનિલભાઈ થાપ ખાય ગયા કારણ તેમને ભાગ્યએ ભૂલાવ્યા કે તેઓ ભારતમાં નહિ પણ અમેરીકમાં વસી રહ્યા છે જ્યાં સ્ત્રી એ પુરૂષની કઠ પૂતળી નથી. તેણી મનુષ્ય છે અને મનુષ્ય તરીકેના તમામ્ સ્વમાન-સન્માન અને સ્વતંત્રતાની હકદાર છે તેની અવગણના કે અપમાન કે અવહેલના કોઈથી પણ કરી ના શકાય અને તે જાળવી રાખવા સ્ત્રીઓ જાગૃત પણ છે. અને તેથી જ સુનિલભાઈએ મારીયાના અપમાન/અવહેલના અને સ્વમાન ભંગની કિમત ચૂકવવી પડી.
    એક વાત બહુ જ સ્પષ્ટ છે કે સ્ત્રીએ માનવી છે અને તેણી મનુષ્યમાં પ્રવર્તતી તમામ લાગણી-પ્રેમ્-વ્હાલ્ વગેરે પણ ધરાવે છેી કોઈની માલિકિની ગુલામ નથી. અલબત્ત આપણાં દેશમાં હજુ કેટલાક પુરૂષોના મગજમાં સ્ત્રી એટલે પુરૂષની તાબેદાર. પુરૂષ પ્રધાન સમાજ પ્રવર્તે છે. ઉપરાંત કોઈએ કહ્યું છે કે અમારા પંથમાં ડોકટરો અને એંજીનીયરો અને સ્નાતકો જોડાયા છે તેનો અર્થ ખચિત રીતે એમ તો ના જ કરી શકાય કે કોઈ વ્યક્તિ ડીગ્રી મેળવે એટલે જીવનને સમજવાની તેનામાં સમજ પણ પ્રગટે ! મારા દ્રઢ મત પ્રમાણે પશ્ચિમના દેશોમાં સ્ત્રીઓ પુરૂષનું પ્રધાનપણું કે સ્વામી ભાવ અર્થાત માલિકિ ભાવ સ્વીકારતી બંધ થઈ છે જ્યારે આપણાં દેશમાં સ્ત્રીઓ સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહી છે અને આવનારા દિવસોમાં તે સંપૂર્ણ રીતે પુરૂષના આધિપત્યમાંથી બહાર આવી પોતાના સ્વમાન-સન્માન અને સ્વતંત્રતાનુ રક્ષણ કરતી થશે જ્ જે વિષે મને કોઈ શંકા નથી. સ્ત્રીની અવહેલના-અપમાન કરનાર મારા મતે તો મનુષ્યત્વનું જ અપમાન ગણાવું જોઈએ. એક અણીયાળો સવાલ કરું છું કે સ્ત્રી વિના કોઈ પણ પુરૂષનુ અસ્તિત્વ સંભવી શક્યું હોત ? સ્ત્રીની અવગણના કરવાનું કોઈ ધર્મમાં જણાવું હોવાનું જાણ્યું નથી હા કોઈ સંપ્રદાયોના આવા નિયમો હોઈ શકે અને તમામ સંપ્રદાય પોતાનો સંપ્રદાય જ શ્રેષ્ઠ છે તેવું હંમેશા પ્રતિપાદન કરતો રહે છે. મોટે ભાગે તો સંપ્રદાય્ના સ્થાપનારા કરતા તેના અનુયાયીઓ વધારે ઝનુની માલુમ પડતા હોય છે. ખેર !
    અંતમા વાર્તા વાંચતા વાચકે સતત યાદ રાખવું જોઈએ કે તે વાર્તા વાંચી રહ્યો છે અને તેથી ભાવુક બની લાગણીશીલ થઈ જવાની જરૂર નથી. આપે જે રીતે દીનુએ મારીઆ સાથે મળી સુનિલભાઈ સાથે ચાલાકી કરી ચાર મીલીયન ડોલર મેળવ્યા તેવો વાચકને આંચકો આપતો અંતની ગુંથણી આપનામાં રહેલા એક સિધ્ધ હસ્ત વાર્તાકારની છાપ ઉભી કરે છે. ધન્યવાદ અને અભિનંદન !
    સ-સ્નેહ
    અરવિંદ

  29. Manhar Vapiwala કહે છે:

    Dear Natvarbhai,
    Nice story but not happy with end. truth is crying truth should be on top level.anyway you try on best way.Thanks !

    Manhar Vapiwala

  30. Bhavna Shukla કહે છે:

    આદરણીય નટવરભાઈ,

    દરેક વખતની જેમ આ વખતે પણ ઉડીને આંખે વળગે તેવી વાત, વાર્તાની વિષય પસંદગી અને તેની માવજતની છે.
    એક સામાન્ય “ન્યુઝ” જેવી લાગતી વાત ને વાર્તામા ઢાંળવાનુ અને વાચકને અંત સુધી ઝકડી રાખવાનુ કઠીન કાર્ય કલમ પાસે તમે કરાવો છો તે સરાહનીય છે. વાર્તામા બે અલગ દેશો વચ્ચેની કાયદા અને કલ્ચરની અસમાનતા અને તેનો ફાયદો યેન-કેન પ્રકારે ઉઠાવી જાણનારા લેભાગુઓનુ સરસ ચિત્રણ કર્યુ અને સમય ખરાબ હોય તો કહેવાતા ભગવાન કે ભગવાન બની બેઠેલા એ તદ્દન ખોટુ સરનામુ હોય છે વિટંબણાઓની વચ્ચે વિસામા માટે નુ એ ટુંકા પણ દિલફેક શબ્દોમા કહી શક્યા એ માટે હીંમત એક સરેરાશ વિચારશીલ વાર્તાકાર પાસે જ હોવાની તે વધુ એક વાર સાબીત થયુ

  31. યોગી કહે છે:

    બહુ સરસ સ્ટોરી છે , એ બરાબર.. પણ સ્વામિનારાયણ ધર્મ , દાદા સ્વામિ , શિક્ષાપત્રી , કંઠી તૂટવી , વગેરે વગેરે બ્લા… બ્લા….નુ શુ છે?

    કોઇ અંગત ખરાબ અનુભવ? :O

  32. વિનય ખત્રી કહે છે:

    હંમેશ પ્રમાણેની સ-રસ વાર્તા. જોરદાર વર્ણન.

    આયો કહાંસે ઘનશ્યામ અને ગુજરાત સમાચારમાં સત્ય ઘટના વિશે વાંચેલું એટલે અડધે પહોંચ્યા પછી વાર્તાના અંત વિશે અંદેશો આવી ગયો છતાં અડધેથી છોડવી ન ગમે એવી રસપ્રદ વાર્તા.

    હંમેશ પ્રમાણે લંબાઈ વધારે છે જે રસપ્રદ વર્ણને કારણે કઠતી નથી.

  33. manan કહે છે:

    mane apni aa bogash varta na gami aama koij shar nathi
    lekh aeva lakho jema koi sar hoy
    jethi koino time vest na jay
    bye

  34. પંચમ શુક્લ કહે છે:

    જકડી રાખે એવી રસપ્રદ વાર્તા. અખબારીય બીજને સરસ બહેલાવ્યું છે.

  35. krunalc કહે છે:

    નટવરભાઇ,
    તમે લખેલી દરેકે દરેકે વાર્તા મેં વાંચી છે એટલે જ્યારે આ વાર્તા અડધે સુધી વાંચી ત્યારે મને લાગ્યું કે આ જ પ્રકારની તમારા દ્વારા લખાયેલી વાર્તા વાંચી છે. છેલ્લે વિનયભાઇનો પ્રતિભાવ વાંચીને યાદ આવ્યું કે “આયો કહાં સે ઘનશ્યામ” સાથે આ વાર્તા મેળ ખાય છે. મને પણ અમુક ભાગ વાંચ્યા બાદ અંત વિશે ખ્યાલ આવી ગયો. વાર્તાની પૃષ્ઠ્ભૂમિ, પાત્રોના નામ વગેરે આગળની વાર્તાને મળતા આવે છે. ખાલી ફરક એટલો જ છે અગાઉની વાર્તમાં મારિયા દિનુ સાથે દગો કરે છે જ્યારે આ વાર્તામાં દિનુ અને મારિયા એક થઇને સુનિલભાઇને હંફાવે છે.

    દર વખતની જેમ આ વખતે એટલી મજા ના આવી કારણ કે કથાનક મને વાંચેલું હોય એમ જ લાગતું હતું.

    બાકી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવા લાગી છે અને ઉગ્રતા એમના પ્રતિભાવો થકી વ્યક્ત થઇ રહી છે.

  36. Hardik Solanki કહે છે:

    નટ્વર ભાઇ ખરેખર હુ તમ્ને કહુ છુ કે મને આ વાર્તાઓ ખુબ ગમિ હુ વખાણ નથિ કર્તો પણ સાચુ કહુ છુ આભાર ……

  37. neeta kotecha કહે છે:

    આદરણીય નતવર ભાઇ

    હંમેશની જેમ આજની વાર્તા પણ ખૂબ જ સુંદર..

    આમા વાંક કોઇનો નથી..બધા પોતપોતાની જરુરત ને હિસાબે ખોટું સાચ્ચુ કરવાના જ…

    બાકી મએરીકામાં રહેતા કોઇ પાસે સાથની અપેક્ષા ન રખાય..

    કારણ અહિયાંથી બધાને જ ત્યા કમાવા જવું હોય છે તો ત્યાં રહેતા લોકો કેટલાં જણ નુ પુરુ પાડે..હા બોલાવી લીધા પછી હાથ પકડવો જોઇયે..પણ ખરાબ સમય પર સાથ ન અપવો એ મનુષ્યની ખાસિયત છે..

    અને જરુરત વાળો માણસ કાંઇ પણ કરી શકે છે…

    એક સત્ય વાત આપે બતાવી છે..કે જે ગમ્યું..

    પણ હુ આપણા દેશનાં બધા લોકોને કહીશ..કે આપણી ધરતી આપણને બે સમય ખાવાનું આપીજ દેશે..ન જાઓ ક્યાંય..

  38. kirtida કહે છે:

    શ્રી નટવરભાઈ
    આપની નવી વાર્તા માટે શુભકામના. વાર્તા ની લંબાઈ આ વખતે ઓછી કરી છે. વાર્તાની કથા સારી છે. દીનુની પીડા બરાબર વર્ણવી છે. અમેરિકન ભારતિય વિચારો સાથે ત્યાં ચાલતા મોટેલના બીઝનેસ ને કથામાં સારી રિતે રજૂ કર્યા છે.
    બંને પ્રકારના વાચક મળશે. વાચક વૃન્દ માં જરુર વધારો થશે.
    કીર્તિદા

  39. satya કહે છે:

    વડીલ અરવિંદભાઈ,
    આપ જો સ્વામીનારાયણ સંપ્રદાય વિષે જાણશો તો કદાચ તમારી આ ગેરસમજ દુર થઇ જશે.
    આ સંપ્રદાયમાં સ્ત્રીઓનું અપમાન થતું હોવાનું મેં ક્યાય જાણ્યું નથી.
    સ્ત્રી પુરુષ મર્યાદાના નિયમ વિષે મેં મારી ઉપરની કોમેન્ટ માં લખ્યું છે. જે સંપૂર્ણ રીતે હિંદુ શાસ્ત્ર માં જણાવ્યા પ્રમાણે છે.
    સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો સાધના અને ત્યાગ નો માર્ગ અપનાવ્યો છે .
    આધ્યાત્મિક સાધના કરતા પુરુષ માટે સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ એ સાધના માં અવરોધ રૂપ છે એવું તો ભાગવત માં પણ લખેલું છે.
    અને આ સંપ્રદાય જ શ્રેષ્ઠ છે એવું ક્યાય મારી કોમેન્ટ માં મેં લખેલું નથી.
    એક હિંદુ હોવાને નાતે એક વાતનો રંજ ઘણો છે કે આપણે હિંદુઓ જ આપણા ધર્મ ને વખોડીએ છીએ.
    સાધુઓ, મંદિરો અને શાસ્ત્રો જો ના હોત તો આજે તમે અને હું બધા કદાચ હિંદુ ધર્મ માં થી વટલાઈ ગયા હોત.
    આટઆટલા વિધર્મીઓના આક્રમણ છતાં જો આજે હિંદુ ધર્મ ટકી રહ્યો છે તો એ માત્ર સંતો, મંદિરો અને શાસ્ત્રોના લીધે જ.
    એ વાત સાચી છે કે આજે આપણે અમુક સાધુઓના વિષે અખબારમાં ખરાબ વાંચીએ છીએ. જે ગુનેગાર છે એને એના ગુનાની સજા જરૂર મળવી જોઈએ.
    પણ શું એક ટમેટું ખરાબ હોય એટલે જીંદગીમાં આપણે બધા ટામેટાને વખોડીશું? શું કોઈના પુત્ર પુત્રી ખરાબ કૃત્ય કરે એટલે દુનિયાના બધા પુત્ર પુત્રી ખરાબ થઇ જશે ?
    સ્વામીનારાયણ સંપ્રદાય અને એમાયે ખાસ BAPS સંપ્રદાય ની આજે વાત કરું તો, આ સંપ્રદાય આજે અમેરિકામાં ભારતીય મુલ્યો અને culture નું રક્ષણ કરી રહ્યો છે.
    શું ખરાબ કાર્ય કરી રહ્યો છે આ સંપ્રદાય ? કોઈને વ્યસન છોડાવવા એ શું ખરાબ કાર્ય છે ? આપણા બાળકોને સંસ્કારી બનાવવા શું ખરાબ બાબત છે? આ મંદિરો ની પ્રવુત્તિ માં ડોકિયું કરીને જોશો તો કદાચ તમને સાચી વાત ખબર પડશે.
    આજ સુધી મેં ક્યારેય કોઈ મુસ્લિમ ભાઈ કે ખિસ્તી ભાઈઓને ક્યાય એમ કહેતા સાંભળ્યા નથી કે મસ્જીદો કે ચર્ચ ની કોઈ જરૂર નથી. કારણ કે તેમને તેમના ધર્મ ની અસ્મિતા છે. આપણા હિંદુ ભાઈઓ ને જ મંદિરો નડે છે. વાર્તા ને વાર્તા ની રીતે જ વાંચવી જોઈએ એ સાચી. પરંતુ મને એમ કહો ક..
    હું એક વાર્તા લખું જેમાં પત્ર નું નામ નટવર મહેતા હોય, એ story writer હોય, અમેરિકામાં રહેતા હોય, પોતાની બ્લોગ site ચલાવતા હોય અને એ પાત્ર ને હું મારી વાર્તા માં ખરાબ ચીતરું….પછી બીજી વાર્તા લખું એમાં હું એજ વાત નું પુનરાવર્તન કરું….તો નટવરભાઈ આ વાત ક્યાં સુધી સ્વીકારશે….???
    સ્ત્રી પુરુષ અસમાનતાની જ વાત કરાવી છે તો શું નટવરભાઈ આપને આ જ ધર્મ મળ્યો…
    મુસ્લિમ બહેનો તેમના ધર્મ ના નિયમ અનુસાર બુરખો પહેરે છે …શું આપણા હિંદુ વાર્તાકારોને એમાં સ્ત્રી પુરુષ અસમાનતા નથી દેખાતી…??? તાકાત છે એ વિષે લખવાની…??

    • arvind adalja કહે છે:

      ભાઈશ્રી
      કોઈ પણ વાત કે માન્યતાઓ ખુલ્લા મને અર્થાત ( pre conditioned mind ) વિચારી શકાય તો જ સત્ય સમજી શકાય ! આપ આ વાર્તા માટે આવેલા તમામ પ્રતિભાવો વાંચશો તો સમજાશે કે અમારી વાતમાં તથ્ય છે. તેમ છતાં આપના વિચારો કે આપની માન્યતાઓ આપને મુબારક ! આ વાર્તા કે તેનો હેતુ કોઈના કોઈ પણ સંપ્રદાય વિષેના અભિગમ બદલાવવા ખચિત લખાયેલ નથી તેમ મારું મકકમ માનવું છે. કોઈ લેખકને કોઈ અન્ય ધર્મ કે સંપ્રદાય ઉપર લખવા કહેવું કારણ કે તે મારી માન્યતાથી વિરૂધ્ધ લખ્યું છે તે ચેષ્ટા વ્યાજબી નથી જ. વળી કોઈ પણ સંપ્રદાયની નબળી બાજુ ક્યારે ય કોઈ ધ્યાન દોરે તો તેને ઉતારી ના પડાય પણ આત્મપરીક્ષણ કરી નબળાઈ દૂર કરવાનો સંનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવા જોઈએ અને મારા માનવા પ્રમાણે તમામ ધર્મ કે સંપ્રદાય કદાચ આજ શીખ આપતો હોય છે. સહિષ્ણુતા-સમાધાન-સમતા અને આત્મ પરીક્ષણ સાથો સાથ નબળાઈ તરફ ધ્યાન દોરનાર માટે આદર અને માન સાથે સ્વીકાર કરી આભાર માનતા થવું જોઈએ ! ખેર ! આપનો મત આપને મુબારક ! આવજો !
      સ-સ્નેહ
      અરવિંદ

  40. narendrajagtap કહે છે:

    મા.નટવરભાઇ…ઉપરના દરેક મિત્રોની કોમેંટ વાંચી… વાર્તા ખુબજ સરસ છે… છેક સુધી જકડી રાખે છે … અને જે થીમ આપે લીધી છે તેમાં ઉપરના મિત્રનો રોષ પણ આપને સહેવો પડ્યો છે.. વાર્તા તરીકે બધુ જ બરાબર છે …પણ દરેક વાર્તા કે પિક્ચરમાં માત્ર આપણા જ ધર્મને ટારગેટ બનાવવામાં આવે છે… ક્યારેય કોઇ મુસ્લિમ ધર્મ ને મધ્યમાં રાખી કાંઇજ લખવા હિંમત કરતુ નથી તે આપણી કમનસીબી છે.. ખેર હું આ અંગે કોઇ ટીકા કરીશ નહી …હુ પોતે પણ વાર્તાઓ લખુ છુ માટે અત્યારે હુ આપની આ”પધરામણી” ને માત્ર વાર્તાના માધ્યમથી નિહાળી આપને અભિનંદન પાઠવું છું..બે માસના અંતરાલ પછી આપને માણવાની મઝા આવી.

  41. Dilip Gajjar કહે છે:

    સરસ વાર્તા,સત્યકથા લાગે છે

  42. punit thanki કહે છે:

    great story!!! usually i don’t read unknown writers but you are one who compelled me to read the story with your simple style and narrative.. the end really turned out to be an explosion!!!

    i would have been more happy if in the story the swamiji would’ve been openly associated with dinu in organising everything… it would have been more real… the swaminarayan sadhus are real bastards… they are more materialistic then most ‘samsari’ people… i know how they bribe government officials to make their work(temple realted etc.) done and everything… (i know this ESPECIALLY about the BAPS people)…

    their sect has nothing more but nonsense moral principles which lead only to suppression of sex and shitty ideas of false superficial character… you can find nothing spiritual in their sect…

    your story should’ve included(hope your next one does) how these ‘know-nothing-pretend-everything’ handle themselves….

    waiting eagerly for your next one!!!

  43. Hemali Parikh કહે છે:

    Wow! What a story.
    I am silent reader of Mr.Natvar Mehate. The depth of his stories, the novel ideas, various subjects including comedy, suspense, and the visualization effects of his writing technique is unique and exceptional. In most of all sorties the end is very interesting and shocking.
    I am forced to write this comment after reading some comments given by various readers. He has not written anything against the religion. He has taken the facts, the news to build up the story. How he can be judged as non religious? One should read story as story and judged as story. if it is close to facts please accept it. Don’t criticize and take personally.
    Why should he write for another religion? He belongs to hindu. And once again, he did not write anything unethical. For muslim, Salman Rushdie has written.
    Anyway, I read stories and I liked very much. Pleas mr Mehta continue to write. All the best for new creation.

  44. nayan panchal કહે છે:

    Natver Uncle,

    First, I will write about the story. The story is crisp, moving at adequate pace and not very lengthy. Characterization of Dinu, Sunilbhai is good. Story looks real. Dinu and Maria are perfect partners in crime. However, as a regular reader of your stories, I predicted the end. Novice reader will definately get a surprize. Overall, a good story to read.

    People, who are looking for some morals in your story will be disappointed though. In this story, Greed/Lie wins which is hard to digest for some people. Unfortunately, this is nearer to reality.

    I read the story yesterday and was reading comments today. Some people are really upset with you regarding your take on Swaminarayan sampraday. Many of them are correct that nobody dare to write anything against other religions like Islam, even though we have many reasons to write against it. (issues like terrorism, conversion, sharia law etc). Are we afraid of writing against it or we are just too good to write against other religion. I guess, truth lies somewhere in between. Hindu people are really careless about their religion unlike christians and muslims. That’s the bitter fact.

    Saying this, I would also like to tell that Hinduism has rotten now. Essence of our great religion has replaced by rituals. Rituals are symbolic. Instead of understanding reason behind these rituals, we give importance to only rituals. We, all Hindus need to cleanse our religion.

    Please keep writing. I have a sincere request to you. Please club all your poems/creations from Facebook to this blog. They are very good.

    nayan

  45. satyapriy કહે છે:

    અરવિંદભાઈ,
    સંપ્રદાયની નબળી બાજુ? કયી બાજુ તમને નબળી લાગી ?

    કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ વ્યક્તિને આંકતા પહેલા એ સંપ્રદાય કે એ વ્યક્તિ વિષે નું પુરતું જ્ઞાન હોવું જરૂરી છે.
    પુરતા જ્ઞાન વગર કરેલી કોમેન્ટ એ કોઈ પ્રમાણ નથી. આપના કહ્યા પ્રમાણે ઉપર ની કોમેન્ટ કરેલ મારા બીજા મિત્રો ને જરા એ પુછજો કે એમને આ સંપ્રદાયનું કેટલું જ્ઞાન છે ?
    અરે આ સંપ્રદાયનું જવા દો. એક હિંદુ હોવાને નાતે આ સૌ મિત્રો ને હિંદુ ધર્મ , શાસ્ત્ર નું કેટલું જ્ઞાન છે?
    કયા મારા મિત્રના ઘેર ગીતા, ભાગવત, રામાયણ જેવા પુસ્તકો છે ? વેદ, ઉપનિષદ ના તો પૂંઠા એ નહિ જોયા હોય કદાચ.
    તમે શું જાણો છો સ્વામીનારાયણ સંપ્રદાય વિષે ??? ૨ વાર મંદિર જઇ આવ્યા અથવા તો કોઈ વ્યક્તિએ કરેલા તારણ પરથી અનુમાન બાંધવું એ ભૂલ ભરેલું છે.

    અહીં વાત વાર્તા પુરતી સીમિત નથી રહેતી.
    મેં ઉપર જણાવ્યું જ છે કે લેખક ને વાર્તામાં વાસ્તવિકતા લાવવા માટે કઈ સાચા પાત્રના નામ કે સાચી વસ્તુઓ લખવાની જરૂર હોતી નથી. આપ નામ નહિ લખો તો પણ વ્યક્તિને સાચી વાત સમજાશે જો એ વાત સાચી હશે તો. પણ નામ લખીને ખોટી વાત ને સાચી ઠરાવવાનો પ્રયત્ન કરવો એ સામે મને વાંધો છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્ત્રી પુરુષ અસમાનતા છે એ વાત વાર્તા દ્વારા લખવી એ સામે વાંધો છે. કારણ કે એ અસમાનતા છે જ નહિ એ એક હિંદુ શાસ્ત્ર પ્રમાણે આધ્યાત્મિક માર્ગ માટેની સ્ત્રી પુરુષ મર્યાદા છે. મારે આપ સૌ મિત્રો ને પ્રશ્ન પૂછવો છે કે આપની યુવાન પુત્રી આપની હાજરીમાં પોતાના વસ્ત્રો બદલશે? કેમ ? શું એ પુત્રી ને પોતાના સગા બાપ પર વિશ્વાસ નથી? જે બાપ એને નાની હતી ત્યારે નવડાવતો હતો એ બાપ પર શું યુવાન પુત્રી વિશ્વાસ ગુમાવી દે છે? એ વિશ્વાસ ની વાત નથી પણ એક મર્યાદા છે. એ સંસ્કાર છે. આને ઘરમાં પળાતી સ્ત્રી પુરુષ મર્યાદા કહેવાય. આમાં કોઈ બાપ નું અપમાન થતું નથી. આજ રીતે આધ્યાત્મિક માર્ગ માં પણ સ્ત્રી પુરુષ મર્યાદા રાખવામાં આવે છે. જે અનુસાર સ્ત્રી અને પુરુષ મંદિર જેવા પવિત્ર સ્થાન પર કેવી રીતે વર્તવું, સાધુ ઓ એ કેવી રીતે વર્તવું વગેરે નો સમાવેશ થાય છે. એને મારા મિત્રો અપમાન ગણે છે.
    કદાચ અમેરિકા માં વસવાટ કરતા લોકો ને ભારતીય શાસ્ત્રની વાત ના ખબર હોય એ સમજી શકાય પરંતુ એક ભારતીય થઈને હિંદુ શાસ્ત્ર ની વાત ના સમજવી એ એક મુર્ખામી છે.

    • arvind adalja કહે છે:

      ભાઈશ્રી
      શ્રી નટવરભાઈના બ્લોગ ઉપર વાર્તા સીવાયના વિષય ઉપર ચર્ચા કે વાદ-વિવાદ નહિ કરવા જોઈએ તેમ મને લાગ્યા કરે છે અને તેથી આ ચર્ચા હું મારા તરફ્થી બંધ કરું છું.વાર્તા સીવાયના વિષય ઉઅપ્ર ચર્ચા ઉખેળી જાણે હું વિવેક ચૂકયો હોઉં તેમ જણાય છે. તેમ છતાં આ વિષય ઉપર વધુ ચર્ચા કરવા ઈચ્છતા હો તો મારાં બ્લોગ ઉપર પધારવા નિમંત્રુ છું જ્યાં આપને આ જ વિષય ઉપર 3-4 પોષ્ટ વાંચવા માતે ઉપલબ્ધ છે. શ્રી નટવરભાઈ આપના બ્લોગ ઉપર વાર્તા ઉપરના પ્રતિભાવોમાંથી વિષયાંતર કરી અન્ય ચર્ચા ઉપર ચડી જવા બદલ દિલગીર છું કૃપયા તે માટે મને માફ કરવા વિનંતિ ! અસ્તુ!
      ભાઈશ્રી સત્યપ્રિય આપની જાણ માટે મારાં બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com ઉપર આપનું સ્વાગત છે !
      સ-સ્નેહ
      અરવિંદ

    • કેટલું બધું સચોટ વર્ણન કર્યું છે.. ખોટી માની લીધેલી માન્યતાઓ ઉપર બહુ સરસ રીતે આક્રોષ વ્યક્ત કર્યો છે.

  46. punit thanki કહે છે:

    dear satyapriy,

    i would like to quote here something from the ‘shikshapatri'(aka crapapatri) :

    “don’t go near to your mother when you two are alone; every woman has fire in her”

    what the **** is this???

    this sampraday is for perverts… and i’m saying this as a pure brahmin who has been in the search for the last 12 years…. religion and spirituality is not just about morals and ‘good-talk’… it is something more profound than our very grasp… it is these phonies who take advantage of our gullibility when we are blinded by the so called religious ideas…

    call yourself a hindu only after asking yourself weather you would have the same thoughts about hinduism even if you were born muslim??? is religion something you’ve earned or something you’re dragging?? if a person is authentic then shit-narayan would not appeal to him…

    swaminarayan has nothing of the heights of the upnishads or the vedanta or the gita….

  47. Good One… I know this is based on true story as I have read similar story in Newspaper as well as in some other blog…

    But still I have to say, the story is nicely written.

  48. DDT કહે છે:

    Mehta you were not like this?

  49. trupti કહે છે:

    The story is good, but apart form the plot of the story, it looks that it was saying much about the swaminarayan sampraday. I know swaminarayan is part of Hindu religion but it is a ‘sampraday’ and not the religion itself. When we are reading any literature, it should be far form the religion and its beliefs. I am not against any relegion but strongly do not believe in sadhu and saints, as in my view they are also common people like us. Dear readers do not take me wrong, but I did not like the whole idea of story reveling between the sadhus of swaminarayan panth. If the sadhus cannot take the shadows of a woman, how they move out freely in the society? They should also not forget that, they are born by the woman only. The shadow of anyone does not make any one impure and in my view, that affect no one’s ‘brahmacharya’. How stupid to think and implement all these things. Natvarbhai, I like the plots of all your stories, but baseless plot is not liked and digested.
    This is my personal opinion and view, and if by any of my writing, if anyone’s feeling is heart I am sorry.

  50. Phiroze Lakhani કહે છે:

    મજાની વાર્તા છે. અહીની મોટેલ ધંધાની ઘણી સારી ગતિ-વિધિ વાસ્તવિકતા અને જાણે ખુદને એ નો અનુભવ હોઈ , એવું લાગ્યા સિવાય રહેતું નથી. બિલકુલ યથાર્થ વાર્તા.
    જોકે થોડી લાંબી લાગી. વાંચકો સમય કાઢીને વાંચે એવી અપેક્ષા કરવી ઘટે.
    ખુબ ખુબ આભાર. બીજી વાર્તા માટે ઇન્તેઝાર .

  51. madhavi joshi કહે છે:

    Respected natwarbhai
    I read yoyr story ‘padharamni’. Really nice , somewhat similar to ‘kahan se ayo ghanshyam’. you have excellent writing skill to peak the reader fron begining to end of story. thank your reply to my e mail id
    yours sinceraly
    madhavi joshi

  52. SURESH LALAN કહે છે:

    મુરબ્બી શ્રી નટવરકાકા,

    વાર્તા ખુબ જ નાવિન્યપૂર્ણ અને વાંચકને અંત સુધી જકડી રાખે તેવી છે. એક પેરેગ્રાફ વાંચ્યા પછી ફરજીયાત વાંચવી જ પડે તેવી વિષય વસ્તુ ! સરસ વાર્તા.

  53. જય પટેલ કહે છે:

    વાર્તા પ્રવાહિતા જાળવી રાખી વાચકને જકડી રાખવામાં સફળ થઈ છે.

    વાર્તાનું કેન્દ્ર બિન્દુ સુનિલભાઈનું રિલીજીયસ ઑબ્લિગેશન જે જ્યુરીએ નજરઅંદાજ કર્યું છે. કોઈ પણ વ્યક્તિની રિલીજીયસ માન્યતા એ તેનો બંધારણીય હક છે.
    મૉટલના માલિક તરીકે સુનિલભાઈને તેમની ધાર્મિક માન્યતા ફૂલફિલ કરવાનો અધિકાર તેમને બંધારણે આપ્યો છે. સુનિલભાઈ પોતાના રિલીજીયસ ઓબ્લિગેશન
    હેઠળ પહેલાં વિનંતી અને ના માને તો મારિયાને માલિક તરીકે આદેશ આપી શકે છે. ડેસ્ક સિવાય બીજી જગ્યાએ કામ કરવા આદેશ આપી શકે છે.

    હવે એક ક્લ્પના કરી જૂઓ કે મારિયા એક યહુદી છે.શુક્રવારની સાંજે સુનિલભાઈ તેને આદેશ આપી શકશે કે તારે સાંજે ૮ વાગ્યા સુધી રોકાવું પડશે ?
    મારિયા યહુદી હોય તો તેને દુનિયાની કોઈ તાકાત ઘરે જતાં અટકાવી ના શકે.
    શુક્રવારની સાંજથી શનિવારની બપોર સુધી બધા જ જ્યુસ રીલિજીયસ ઓબ્લિગેશનથી બંધાયેલા છે અને બધા જ એમ્પૉયર્સ તે પ્રમાણે શેડ્યુઅલ બનાવે છે. મોટાભાગના યહુદીઓ શનિવારે રજા રાખતા હોય છે.

    મુસલમાન નોકરી કરતો હોય તો તેને પાંચ વાર નમાજ માટેની છૂટ બધે જ મળે છે તથા હજ સમયે નોકરીમાંથી આબાદ છૂટ્ટી મળે છે. હિન્દુ વ્યક્તિનું રિલીજીયસ ઓબજ્રવેશન બીજા કરતું ઉંણું છે ? બંધારણે દરેક વ્યક્તિને તેના ધર્મનું પાલન કરવાની છૂટ આપી છે.

    સુનિલભાઈ જો એપલેટ કોર્ટમાં જાય તો અવશ્ય તેમની જીત થાય. જ્યુરી ઘણી વાર બાયસ અથવા ઘૃણાથી પિડીત હોય છે જેમ સમાજમાં કોઈ વ્યક્તિ કોઈ જ્ઞાતિ વિશેષ અથવા સંપ્રદાય પ્રત્યે ઘૃણા નામના રોગથી પિડીત હોત છે તેમ.

  54. chandresh કહે છે:

    very good thinking

    real ma avu jo thay to koi pan sajo manas gando thai jay

    ane biju ee samjay che ke koi ni muskeli no faydo na levo joiye

    ones again good thinking
    if possible can u send me all your story to my email

  55. Grishma કહે છે:

    Hallo Sir,
    Bahu j saras varta….Pan ek vaaat kahish k aa to satyghatana che……It happenes in Canada last year…anhi Swaminarayan dharmi bahu j che…emana ek satsangi ae j mane aa vaat kareli…I hope k aap pan jaanta hasho..

    Thank you..

  56. Mahendi કહે છે:

    This is crap this man is writing on same religion second time Mr Natvermehta if u personally have problem with this religion keep it to u don’t wash others brain ok

  57. AJAY કહે છે:

    nice story really a good end.

  58. Isudas Chauhan કહે છે:

    I did open your short-story “Pathramani” for my wife and since she liked it, she recommended to read it and give my opinion.

    I have previously said and say it again that somehow I do not read Gujarati literature but my wife does and she enjoys it. Personally to me it is very shallow and except Sharad Thakker’s stories I do not want to go any further.

    I did enjoy reading your story very much and the way you have created a plot sounds very realistic and describe exactly how the newly arrived Indians do not leave their habits of cheating others upto the maximum level without affecting their ethics because for them to earn money is the only goal. Secondly, those who have been settled in US by using the same tactics get similar treatment in their own lives too and face the consequences. It is just like “Jaise ko taisa”.

    Your story also reminds me my wife told me couple of months ago reading the Gujarat Samachar news that an American woman did actually filed a sexual discrimination suit against a motel owner. Also, a motel owner rented several of his rooms to Swaminarayan Sadhus for a long period of time for their function although he is not following that religion but trusted them and also assured that he will be paid later on. However, to his dismay he never received a penny for an outstanding bill of $40,000 despite his several requests to his friend (contact) and even to the Swaminarayan Headquarter.

    As such, what I am trying to say that your wonderful way of writting this story exhibits the reality in an excellent way for which I congratulate you. One simple suggestion. Although, the story is connected with US in background, when you write several sentences in English would make it rather impossible for your majority of readers who do not understand the language.

    These are my personal thoughts and again thanks for keeping your readers happy but at the same time please try to educate readers to be honest and ethical in whatever they do because the extract of this story is you win wealth (Laxmi) anyway it is possible. I still remember your story which was publised in “Gujarat Darpan” set up an example for young generation to admire the love and care given by grandparents without any selfish motive and when they are treated badly by their own son/daughter, the grandchildren come forward to give justice. That story gave a wonderful message of ethics which is lacking in “Pathramni”.

  59. Bhavesh Patel કહે છે:

    Nice story and Nice comments. Fun to read everything!

  60. Chirag કહે છે:

    સરસ વાર્તા. અંત એકદમ ફિલ્મી રહ્યો. સરસ.

  61. Amit Chavda કહે છે:

    ખુબ જ સરસ વાર્તા છે. નટવરભાઈ આમ તો મને ઐતિહાસિક વાર્તાઓ ખુબજ ગમે છે પણ મને આપની આ વાર્તા વાંચી ને ઘણો જ આનંદ થયો.
    હું આશા રાખું છું કે આપ આવીજ રીતે સારું લખતા રહો. અને આશા રાખું છું કે આપ એકાદ ઐતિહાસિક વાર્તા નું પણ સર્જન કરો.

    જો આપને ગુજરાતી ગીતો અને ગઝલ સાંભળવામાં રસ હોય તો તમે મારા બ્લોગ પર થી ડાઉનલોડ કરી શકો છો.
    http://www.gujratisongs.blogspot.com/

    આપનો આભારી,
    અમિત ચાવડા.

  62. Devshi કહે છે:

    માનનીય નટવરભાઈ…
    વાર્તા વાંચી ને ખુબ મજા આવી. સાહિત્યની દ્રષ્ટીએ ખુબજ ઊંચું સર્જન છે તમારું. અને બીજીબાજુ એક સ્વમીનારાયણ સંપ્રદાય ના સત્સંગી હોવાને નાતે થોડું ખોટું પણ લાગ્યું… અને તમે જે વાતો લખી છ્હે તેમાં મારિયા નું પાત્ર ઉપર ધ્યાન આપીએ તો કદાચ ખોટું લાગવાનો રંજ રહેતો નથી. કારણ કે મારિયા છે તે ક્રિશ્ચન યુવતી છે. અને ખાસ તેમાં તમે અમેરિકા ના કાયદા ને પણ સરસ રીતે બતાવ્યો છે. મારું અંગત માનવું છે કે જો કદાચ મારિયા ને બદલે કોઈ ઇન્ડિયન યુવતી હોત તો તે પ્રેમ થી ખસી જાત અને તે અપના સાધુ સંતો ની મર્યાદા ને પણ સમજી શકત.. ઉપર ની કોમેન્ટો મેં વાંચી ઘણા ભાઈઓ ને આક્રોશ પણ ચડ્યો છે અને તે વ્યાજબી પણ છે.. પણ તે બધાને એ પણ સમજવાનું છે કે આ એક કાલ્પનિક વાર્તા છે. અને નટવરભાઈ તમે પણ જો ભવિષ્યમાં આવા મુદ્દા ના છેડો તો સારું.. જાય શ્રી સ્વામીનારાયણ.

  63. મુકુલ જાની કહે છે:

    નટવરભાઇ,
    એક સત્ય ઘટનાને તમે ખુબજ સરસ અને સહજ રીતે શબ્દોમાં ઢાળી છે…અભિનંદન!

  64. chandravadan કહે છે:

    Nice Varta…but it has touched the “feelings ” of the SwamiNarayan Panth Divotees adversely.
    For their “unquesting dedications” to the teachings they are hurt…I understand ,…To “euate” the present practice of “non seeing the Face of a Lady” & justifying it with the “burkha” of Moslims is NOT RIGHT…From the common sense & from “the logics” both practices need RE-EVALUATION on the Modern Times.
    I am a POSITIVE THINKER..& I know one day the “needed Change” WILL COME !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Natvarbhai….Have NOT seen you on Chandrapukar recently..Hope to see you !

  65. chinan કહે છે:

    Mr Mehta,

    You have lost a high you got from my mind.
    What a bull sit you are writing. Just same things.
    why are you opposing swaminarayan, means what are your personal problems.

    You know , you should just stop writing.

  66. farooq કહે છે:

    નટવરભાઈ વાર્તા બહુ સરસ લાગી. મારા મત મુજબ જો દીનું ને “શોર્તિયા” ના બતાવ્યો હોત તો અસત્ય નો વિજય થતો ના જોવા મળેત.. જો કે તે એક લેખક તરીકે આપ ના અંગત વિચાર નો ભાગ હોએ શકે. આપના વેબ પગે પર અમુક ફોન્ટ હું વાચી નથી સકતો.. plz તે ફોન્ટ હું ક્યાં થી download કરી સકું તે કહેશો?
    for example :”મારી દીકરી શ્વેતાના ચિત્રોનો ” etc are not readable..

  67. namra કહે છે:

    navi varta vanchi .saras pakad chhe varta ni pan varta na ante eno bodh mane na gamyo .

  68. Kunal Kapinjal Vohra કહે છે:

    Shri Natvarbhai,
    Kem cho??? Varta kharekhar Sari lagi…Ofcourse, koik koik comments pan gami….Sachu kav to Kyay pan Varta ma RAS-BHANG nathi thato e to bau manaji vaat kevay…Karn ke sharuaat thi ant sudhi aa pakkad sachvi rakhvi ej khari Varta ni Majbutai nu kharu Maap Dand…Kharu ne???Well done sir…Amara Shri Rajnikumar kaka e to aavu j kaik Sikhavyu 6e amne….Kher!! AAvjo…navu navu lakhta raho ane janavta raho…AABHAR!!!ABHINANDAN!!!PRANAM….

  69. ck patel કહે છે:

    me mari life ni aa peli varta puri vachi 6e
    khre khr mja avi gai

  70. Meghna Naik કહે છે:

    Very nice story line, and i am pretty sure that it is a true story for most of the people in US, working/owning a motel. Situations may have been different but story must have been same. Very close to reality…….

  71. Mahendra "Kumar"Sethia કહે છે:

    Natvar dada,
    varta vanchi gami saras che.Hal hospital ma chu ne aapni varto vanchi samay nu sadupyog karirhyo chu ,
    aavhar
    Kumar

  72. himshaila કહે છે:

    maja avi Natarbhai, me pahelivar tamari varta vanchi. shabdoni sahityik ramat karvane badle ekdam saral bhasha tamane lokpriy banavshe. Aa varta vanchya pachhi tamaru biju sahity vachva nu man chhe. Satat lakhta raho evi shubhechha.

  73. Parth Vasavada કહે છે:

    Incredible 🙂
    Keep writing, I will keep reading!

  74. Amrut Nishar(editor SULEH) કહે છે:

    NAMASKAR NATVAR BHAI,
    AAPNI VARTA SARI LAGI.NIJANANDTHI LAKHO CHHO TETHI ENI MAZA J KAI AUR CHHE.NAVU NAVU SARJAN KARTA RAHEJO.FASH BOOK PAR MALIE.

  75. Mihir J Sangani કહે છે:

    Dear Natwarbhai, I read your story on “Padharamni”.. First of all you as a writer have unique story telling skill which grabs the reader to complete it in one sitting.. congrats on that.!
    Coming back to Story.. Very Shocking !! A person (Dinu) conducting immoral activity to survive.. (of selling shortis and eating up the amount)by ditching his own employer.. (Sunilbhai) who have allocated him a responsible cash register job to do.. assuming to be his own Indian Origin person in dire need of job., the employer finds out the truth and then still was able to forgives him on top of that giving him second chance to survive and giving dinu an opportunity to regain his trust and to improve himself of his bad conscience.. basis on the pleading made by the person swearing god and religion.!!..
    With the given second chance.. the same person takes advantage of the religious sentiments and ditches the same person who was not trusting him at first place for second chance.. gave him again considering him as a fellow Indian and look how cooly like a Knife cutting the slice of a cake.. stabs this guy again so badly this time.. with the help of religious sentiments.. and compells the employer to get admitted to Rehab..!! so What’s the moral of the story here?

    1) Never give second chance to any one ? especially fellow Indian? as they say Daya .. Dakan ne Khay ??
    2) Keep Business and Religion endeavours separate ?
    and do not get carried away to religious beliefs that can bring you such a bad consequences???
    3) The Saint of Swaminarayana whoever he was.. directly , indirectly became part of the plot to favor Dinu..who was residing in his heart and not near his feet? and knowing the situation that occured.. this saint didn’t even tried to assist Sunilbhai.. to come out of the mess..but instead raised his hands that he is unable to help? because indirectly his disciple Dinu who was residing in his heart was benefitting???
    4) and Look at Dinu? he really proved himself to be one of the worst circumventor to his own Indian Fellow and instead of proving himself improved.. he further severed out his employer so badly and stole bread from his and his family’s mouth and left him to re hab.. ??
    what was his employer’s fault at first place?
    He did this because his employer :
    Trusted him as fellow Indian? saved him from embarassing further to his sister and bro in law? forgived him for the sake of religion swearing? to let him keep shelter on him and not leaving him jobless and homeless in bad economy? got carried away respecting his so called religious feelings which was nothing but a plot to uproot him upside down?

    This and many more questions arises.. and believe me Natwarbhai, after reading this story.. I would prefer to stay 100 of yards away from such Dinu’s and such religious saints and teachings… of Circumventing your Person who do good for you and stealing of bread from their mouth.. Toba Toba…Better to live as an Anthiest instead.. thank you for opening my eyes !!

  76. pravin buddh કહે છે:

    શ્રી નટવરભાઈ,
    આપની વાર્તા “પધરામણી” એકી
    બેઠકે વાંચી ગયો, જે લોકો અમેરિકા જવાના
    ધખારા રાખે છે. તેની આંખ ઉઘાડતી આ વાત
    ને તમે ખુબજ સુંદર રીતે રજુ કરી છે. ખુબજ ઝીણવટભરી રીતે
    આપે તેની માવજત કરી છે. ધન્યવાદ.
    પ્રવીણ બુદ્ધ

  77. dr.nilesh patel કહે છે:

    how ppl differs from each other….!!!!
    so many different perception of people !!! only one real story [with imagination] but widely different opinions.
    controversial points…
    • religious believes or misbelieves right or wrong ?
    • hero/ villain dinu or the sunilbhai ?
    • praising or arguing the author ?
    in comment section so many ppl r fighting with each other according to…. knowledge, myths, consciousness, religious believes, sanskaras,emotions, thinking, rigidity / flexibility of their nature…etc.
    from comments I can see that……still the man is not the man but some r born hindus, some r born muslims, some r born christians…..!!!
    i think the best is…..to aware the people abt this controversial points…. and let them find their own answers.
    of course….this is what I perceive…..!!!

  78. Dr Suresh Kubavat કહે છે:

    પ્રિય નટવરભાઈ,
    પ્રતિભાવ લખતા પહેલાનાં પ્રતિભાવો વાંચી ગયો .
    કોઈએ કુંડાની વાત કરી તો કોઈએ કાંટા ની વાત કરી.
    બહુ થોડાયે ફૂલની સુગંધ ની વાત કરી.
    ડોકટરોને ગુલાબજાંબુ ખવડાવો તો ડાયાબીટીસની
    અને પરેજીની વાતો કરશે પણ ગુલાબજામ્બુનો સ્વાદ
    માણવાનું ભૂલી જશે.
    પણ હું એવો doctor નથી જ નથી.
    મે તો બસ એને વાર્તા તરીકે માણી.
    અને વાર્તામાં પણ તમારી કલમમાં ક્યાય ધર્મની ટીકાનો
    ભાવ નથી. વિવેચને કુટીર ઉદ્યોગનું સ્થાન લીધું છે.

  79. Mihir J Sangani કહે છે:

    To Dr. Suresh Kubavat : Humble comment:
    I read your opinion.. well there is no such story which do not leave behind any moral of the story..!! because without reflecting moral of the story.. a story is not a worth story and looking into various reactions and opinions of different readers reflects the moral they learned from the story.. which justifies Natwarbhai’s effort to tell this story more effectively and worth telling..

    With all due respect, enjoying story for sake of reading it..is like taking tylenol 100 mg ,300 mg or extra strength 500 mg to cure head ache or body pain.. irrelevance to admeasure actual calibration of the requirement.
    Any way I enjoyed the story with deep impact and learned the moral of the story effective to me. All the best.. JSK.

  80. Ashwin Tailor કહે છે:

    Respected Natubhai,

    Namaste!!

    What can I say? I only went on your website to have a “quick” look but got hooked immediately.

    I downloded the PDF version of “Padhramnee” and said to myself “I will read it later”! But I just started reading it to see what the beginning was like. Well, once I started reading it, I could not wait to read the ending. Before I knew it, I finished the entire story in one go.

    There are so many issues you have addressed. I thank you for such an inspiring story.

    I am totally sold on your stories so I will be downloading more.

    Thank you and please keep on writing.

    Your admirer
    Ashwin Tailor

  81. himanshupatel555 કહે છે:

    સરસ વાર્તા,વર્ણન-કથા અને કથનપધ્ધતિ મન ઝંકૃત કરી ગઈ.

  82. Jitendra N. Barot કહે છે:

    natwarbhai, i love the story, its a nicely written. keep it up.

  83. gaurangi patel કહે છે:

    Shree Natwar bhai,Your story,”Padhramni’,created such a curiosity to know;’what happens next;’ that I read it at 1 go…I compliment you, as an “Indian Jeffery Archer”.I am a die-hard fan of thos writer.I am no gt person to authoritatively compare you with gt authors,yet, I must admit, your story was wonderful,with amazing twist at the end…Cheers!

  84. Kalpesh Khodifad કહે છે:

    After reading story and all comments, i would like to recall “3 mistakes of my life – Business, Religion and Cricket by Chetan Bhagat”.

    Story should be titled as “Two Mistakes of Life – Business and Religion”.

    Anyway, Nice story!!

  85. Jayesh Dholakiya કહે છે:

    Priy Natvarbhai,
    “Padharamani” shirsak varta ni shathe ghanuj susangat che .ne a thi eiti shudhi ek j bedhtha ke vachata aevo abhash thayo ke man ni shudii thai nana modhe moti vat pan rahevatu nathi mate kahu ke avo labh gujrati vachako ne gujrat na madhymo ma male to samaj-shudhii thai tevu lage che .mate tamaro prbhav pade tevo agrah ne vas abhilashi,,,,,,
    Jayesh Dholakiya
    “Jay Jay Garvi Gujrat”

  86. Ketki Raval કહે છે:

    Tamaro khub khub aabhar Natwar Uncle. Aavi nakh-shikh gujarati website pahelivaar joi. Bhau j aanand thayo. 2 varas thi ahi pardes ma chhu ane aapni sanskruti, vaanchan ane loko ni bahu j khot saale chhe. Kharekhar tamari bejod vartao ran ma mithi virdi jevi lagi. Aap dirgh aayushi thao ane khub khub sundar lakho evi shubhechchha.

  87. Dhruti કહે છે:

    varta saathe badha ni comment pan vanchva ni gami….aahiya aa desh ma ke Dinyo ma thi Dineshbhai bani sakaye ane ek Mr.Sunil ma thi Sunil….

  88. Ishvar Patel કહે છે:

    સરસ વાર્તા,
    અમેરીકાની જીવન શૈલી વિશે પણ જાણવા મળ્યું

    દીનું ની બેન અને બનેવી વિશે અન્તમાં લખ્યું હોત તો સારું હતું

  89. sanjay panchal કહે છે:

    natvarbhai, varta no plot to jakdi rakhe tevo chhe,parntu evo message nathi aapti ke”koine mundya vagar mundi bhegi thati nathi”?

  90. gopika કહે છે:

    the story was quite interesting and too good!!!

  91. Arvindbhai Joshi કહે છે:

    Sanmanya shri Natvarji,

    Khub saras varta, vachava nu gamyu, Abhinanadan……..varta nu Kathabij aape shatya ghatna par thi lidhu hoy tem lage chhe, karanke thoda samay pehla avi ek shatya ghatna baneli avu me news paper ma vanchelu, albat varta ma darshavel end – antbhag vishe mahiti nohti….aam chhata varta ni mavjat khub saras rite thai chhe, vanchan no ras jalvai rahe chhe…fari fari abhinandan.

  92. Arvindbhai Joshi કહે છે:

    avu lage chhe ke ek-be vanchak mitro ne varta par na mara abhipray babat gersamaj thayel chhe, aa babat ma mare aatauj kehvanu chhe:

    Swaminarayan dharma pratye mane puru shanman chhe,atluj nahi parantu Pujya Yogibapa(gondal) saathe hu rahyo pan chhu,ashirwad pan melavya chhe, ane Pujya Pramukh swami na pan ashirwad melvel chhe, ahi swaminarayan dharma par tika karva no maro koi irado nathi….atluj nahi parantu hu kyarey pan koi pan dharma ni tika nathi karto, dharma par abhipray apavo ke tika karva jetali kaksha haju me prapta nathi kari avu hu namrapane manu chhu.

    News paper ma me vanchel ek satya ghatna na samachar jevoj varta padhramani no plot chhe ataluj me kahyu chhe.

    Abhar.

  93. Sagar Ramolia કહે છે:

    KHOOB SARAS VARTA CHHE.

  94. AFZAL VOHRA કહે છે:

    The story is endless.

  95. jj કહે છે:

    Dear Natverbhai,

    It has been very long time since your last storey almost 4 and half months. Readers are eagerly waiting for new creation and I urge you to come up with something soon. Please write what you like and authors do not have limitations of religion, politics, nations or any materialistic existence. Please keep writing.

  96. Jayesh Patel કહે છે:

    નમસ્કાર સાહેબ,
    ખરેખર ખૂબ સુંદર વાર્તા છે. સવાર સવારમાં આખી વાર્તા વાંચવાનો સમય નહોતો. આપનો બ્લોગ ખોલ્યો અને ખાલી જોવા ખાતર વાર્તા વાંચવાની શરૂઆત કરી તો અંત સુધી વાંચવાની ફરજ પડી. અદભૂત.
    વાર્તાની શરૂઆતમાં જ ‘બીએ થયેલાથી બૉસ ન બનાય’ વાક્ય આપણી આર્ટસ ફેકલ્ટીની શિક્ષણ ગુણવત્તા ઉપર વેધક કટાક્ષ કરે છે. (એક આડવાત, શું આર્ટસ ફેકલ્ટીનું શિક્ષણ પણ મેડિકલ કે એન્જિનિયરિંગ જેવી ફેકલ્ટીના શિક્ષણની જેમ પરસેવો પાડી દે તેવું ન હોવું જોઈએ?!)
    આખીય વાર્તામાં જબરજસ્ત ફ્લો છે. ક્યાંય અટક્યા વગર વાચકને જકડી રાખતું વાર્તાતત્ત્વ અને રજૂઆત.
    અહીં કેટલાક મિત્રોએ ઊંડું વિચાર્યા વગર જાણે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ નું અહીં ખરાબ ચિતર્યું હોય તેવું ધારી લીધું છે. પરંતુ મારી દૃષ્ટિએ એવું નથી. અહીં વાર્તાનું પાત્ર દિનુ પોતાના હિત માટે એક યોજના બનાવે છે. જેને પૂરી કરવા માટે તે સૌને માટે આદરણિય એવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે ઘરોબો કેળવે છે. તે બહુ જ યોજનાપૂર્વક મારિયા સાથે પણ મૈત્રી કેળવે છે અને તેની સાથે મીલીભગતમાં પોતાની યોજનાને અંતિમસ્વરૂપ આપે છે. દિનુ સુનિલભાઈને આંબાઆંબલી બતાવે છે અને ભરોસો જીતે છે. બીજી તરફ તે સંતોને તેડાવે છે અને પોતાની રીતે જ સુનિલભાઈને મારિયાને દૂર કરવા કહે છે – અહીં નોંધ કરવી રહી કે, મારિયાને ત્યાંથી દૂર મોકલવા માટે સંતોએ તો કહ્યું જ નથી, આ તો દિનુનો જ પ્લાન છે જેમાં સુનિલભાઈ ભેરવાઈ ગયા છે. આમ, દિનુએ આદરણિય સંતો અને મારિયાનો ઉપયોગ કરીને સુનિલભાઈને ભારે બેવકૂફ બનાવ્યા છે અને ઠંડે કલેજે પોતાની યોજના પાર પાડી છે.
    ખૂબ સુંદર વાર્તા.

  97. ushma acharya કહે છે:

    શ્રી નટવરભાઇ,

    ખુબ રસપ્રદ પ્લોટ પર વાર્તા રચાઇ છે.જેમા ક્યાંય રસભંગ થવાની શક્યતા જ નથી રહેતી.મે તમારી આ પહેલી વાર્તા વાંચી છે..પણ આ સાથે જ બીજી વાર્તાઓ વાચવાની ફરજ પડી છે.ટૂકી વાર્તાઓની આ જ ખાસિયત છે.ગમશે કે નહી તે માત્ર એક્-બે ફકરામાં જ નક્કી કરી શકાય છે.તેમા પણ રિસન્ટ સબ્જેક્ટસ બેઝડ સ્ટોરી વાંચવાની મજા જ અલગ છે..
    ખુબ ખુબ અભિનંદંન આટલી સુંદર સ્ટોરી આપવા બદલ.

    ઉષ્મા.

  98. Chetan કહે છે:

    નમસ્કાર નટવરભાઈ,
    મારું નામ ચેતન સોલંકી. હું એક પ્રાઇવેટ કંપની માં સપોર્ટ છું. મુખ્યત્વે કામમાં વ્યસ્ત રહેવાનું હોય છે. આજે થોડી નવરાશ મળી એટલે ફેસબુક પર નજર મારી, અને ત્યાંથી આપણી વેબ્સાઈટ પર આવ્યો, પ્રથમ વાર આપની વાર્તા (પધરામણી) વાંચી. ખુબજ સરસ અને વાચક ને જકડી રાખનાર લખાણ છે આપનું, કામમાં વ્યસ્ત હોવાછતાં વાર્તા પૂરી વાંચ્યા વગર રહી ના શક્યો. આપના સુંદર અને જકડી રાખનાર લખાણ બદલ આપણે ખુબજ અભિનંદન પાઠવું છું.
    વાર્તા ની રચના ખુબજ સરસ છે. દીનુંના ચરિત્ર માં દગાખોરી છે પરંતુ તે ગમેતે ભોગે પ્રગતિ કરવા મહત્વકાન્ક્ષી છે. તેની પ્રબળ ઈચ્છા શક્તિ અને મહત્વકાન્ક્ષા ને કારણે જ અંત માં તે સફળ થાય છે.
    સુનીલભાઈ નો કોઈજ વાંક નથી પરંતુ એક વ્યક્તિ ના માથે પગ મૂકી બીજો વ્યક્તિ ઉપર આવે તે કઈ નવી બાબત નથી. દીનુંની આગળ વધવાની મહત્વકાન્ક્ષા એ સુનીલભાઈ નો બહોળ લીધો એ અત્યારે ખુબજ સહજ બાબત છે. વાર્તા માં આપે ખુબજ સુંદર રીતે વસ્તાવીકાતા ને દર્શાવી છે.
    હવે વાત રહી સમુદાયની, તો એ બાબતે મારે કોઈ નિસ્બત નથી. હું માનું છું કે ઈશ્વરમાત્ર વિશ્વાસ માં જ રહેલો છે. એથી વધારે હું કાઈ કહેવા નથી માંગતો. આ એક વાર્તા છે જે ના સર્જન માટે લેખકે ઘણી સત્ય-અસત્ય, વાસ્તવિક-કાલ્પનિક, વગેરે બાબતો નો સમાવેશ કરવો જ પડે, લેખક નો ધ્યેય માત્ર અને માત્ર વાચકો ને જકડી રાખવાનો હોય છે. અને તેમાં આપ સફળ રહ્યા છો અમ કોઈ પણ સમુદાયે કોઈ પણ રીતે કાઈ ખોટું માનવા જેવું નથી.
    આપની વાર્તા માટે આપને ફરી એક વાર અભિનંદન પાઠવું છુ
    ધન્યવાદ

  99. CHINTAN કહે છે:

    mANE APNI VARTA PASAND AVI… SARI CHE….. THANKS…..

  100. prit patel કહે છે:

    varta nu presentation saras chhe. nani nani situation ne sari rite vyakt kari chhe.tamari jinavat bhari najar khub gami. hu pan swaminarayan satsangi chhu atyar sudhi santo ni padhramni mara ghare karavi chhe. padhramni nu parinam anubhavyu chhe ane sambhadyu pan chhe.pan varta na name santoni padhramni ni majak mane pasand na avvi varta vachta hkub maja aavi aant vachava man aatur hatu pan vachi niras thai gayu.sorry

  101. Shreepal કહે છે:

    Tamaraa ma Varta lakhvani khub saras kala che pan tame je rite swminarayan bhagwan par direct je prahaar karo cho e joine mane lage che k tamari kala ne nukshan pahochshe…tamne garv hovo joie k tame hindu cho ane aakhi duniya ma ek matra swaminarayan sanstha hindu o nu mastak uchu rahe eva prayatno kare che tyare tamara jeva bogas loko hindu o nu naam bagadva betha che.. mane tamara pratye pahela maan hatu pan have kai kahevay evu nathi…. Tamne hindu hovanu garv hovu joie. mane naaaz che tamara par k je hindu hova chata loko ne hindu virodhi banave che nd khas to aa varta ma tame bharat desh ni ijjat ne nukshan pahochadyu che… mind this next time…

  102. Shreepal કહે છે:

    Jo tamne Gujarat Samachar na Newz mathi Varta Lakhvani maja Aavti j hoy to Ek book che ‘LAJJA’ e vachjo ane eni varta lakhi ne ahoya mukjo tamari pathari na fari jaay to mane kahejo…

  103. જીગર પટેલ કહે છે:

    પધરામણી વાંચી
    સુનિલભાઈએ દિનુ સાથે કરેલ વ્યવહારનો બદલો દિનુએ સરસ રીતે લિધો .

  104. Victor Macwan કહે છે:

    Respected Shri Natvar Mehta Saheb,
    Very good story, congratulations to you as well as Dinu,Maria n Sunilbhai,
    Manavta is still alive …..This kind of stories give new way of thinking to the human being.Thanks.Victor Macwan.

  105. Mahesh Paleja કહે છે:

    SHREE NATUBHAI,
    VERY GOOD AND TRUE STORY. KEEP UP THE GOOD WORK.

  106. ચિરાગ શાણી કહે છે:

    ખુબ ગમી, અંત માં ધાર્યુ હતુ તેના થી અલગ જ વળાંક આવ્યો.
    ખરેખર સરસ, માણવા લાયક………………….

  107. Dr. Jayraj Desai કહે છે:

    A beautiful short story indeed.I have to read all the stories now as and when time permits.Congratulations…!

  108. Pankaj Taylor કહે છે:

    Story well presented and explains reality of life in USA. Most respectfully I doubt very much that the way you presented the law suit by Ms.Maria would ever win in any court in USA as it has no merits. Jury or judge are not stupid. While whether to believe in any religion or saints is ones individual’s choice, Charge of sex bias or women discrimination will not hold up.
    Sunilbhai paying one dollar per room has excellent merit to win. Statistically it takes 22 minutes to do an average room so $ 4.00 is reasonable taking minimum wages laws of various states. Bigger is ethics and morals? Here there may be deferring views. That is why many prefers not to get involved in sponsoring any intending immigrants. Other wise it is well written and factual. Other side under current economic climate, It is difficult to know how motel owners are doing? Like it is said in Gujarati, ” TAMACHO MARINE GAL LAL RAKHAVA JEVU CHHE?”

  109. nirmal maniyar, Gandhidham કહે છે:

    શ્રી નટવરભાઈ,

    તમારી વાર્તા ઓ હેન્રી ની ટૂંકી વાર્તા જેવી લાગી, અચાનક અણધાર્યો અંત.. ઘણા લોકો ના અભિપ્રાય વાંચ્યા,
    એ લોકો ને કેવાનું મન થઇ જાય છેકે આ વાર્તા ” સ્વામી જી ના ચમત્કારો ” ની ના હતી. જરૂરી નથી કે સ્વામી જી
    ની પધરામણી થી દરેક ના જીવન માં ફાયદો થઇ જાય. કયારેક આવા નુકસાન આવી પડે, જે સુનીલભાઈ ને
    આવી પડ્યું, તદુપરાંત આ વાર્તા માં દીનું નું ફુલ્લ પ્રૂફ પ્લાન્નીંગ હતું, જેમાં સુનીલભાઈ ફસાઈ ગયા.

    અંતમાં, વાંચવાની મઝા આવી, બાકી વાર્તા વાંચવાની ઈચ્છા થાય છે….

  110. Jitendra Barot. કહે છે:

    khub sarash,
    pan man ma ek prashna che….su Dinu nu patra khubaj vichitra lagyu..je DHARM no shaharo le che.. koine chektarva ma…AND

  111. abc કહે છે:

    kaik navu umero. badhu mahinao junu vasi che.

  112. Alpesh Goswami કહે છે:

    Very Good Story.I Like Very Much.Plot Is New.

  113. Ajay કહે છે:

    this is really so good….. really new plot…..

  114. Maulika કહે છે:

    સરસ વાર્તા…અલગ અલગ માનસિકતાનું સુંદર નિરૂપણ કર્યુ છે. વાચકોને જકડી રાખે એવી શૈલી આપની દરેક વાર્તામાં છે.

  115. Shantilal Kathiria કહે છે:

    Betrayal of Trust. Trust is no longer a trustworthy trait instead it become a commodity. End of the story reminds me of
    O’ Henry’s signature style, Expect the unexpected.Nice story.

  116. Jitendra Goswami કહે છે:

    Good, very good.thx.

  117. HIRAL કહે છે:

    GOOD ONE….. TIT FOR TAT…..

  118. Sanatkumar Dave કહે છે:

    Dear Natverbhai….Yes a nice story ane eka j baithake vanchi…
    1. Dinu nu Vartaan na gamyu…kher tene aamaan no badlo leva planning karyu…Mane tau sharu aat maj Gandh avi ke jyare aape lakhyu ke Maria Desk par kaam karti and Dinu taraf anookampa batavati…
    2. aape Swaminarayan sadhu ni vaat kari..padhramni..veg tau shu aapne em nathi lagtu ke Dinu e Sunilbhai ne vaat kari j hase ke Stree naa joiye jyare Swamishree padhare..!!???
    3.Vedio footing ni aagavi vyavstha e Dinu-maria nu j perfect planning.
    4.Sunilbhai ni AASTHA TOOTI gayi…aavu thase tau dharma per thi loko no Vishwas uthi jasse ane loko USA ma bolavashe j nahi koi ne..!
    5. Maria has been Miss-guided by Dinu….She should have thought Twice before filing a suit against sunilbhai who used to Respect Her and was having TRUST…..I doubt she might have been mesmarized..
    6. Any how it’s a good story and USA ppl…particularly Indians MORE Careful….
    God bless all.
    Sanatbhai …

  119. nayan કહે છે:

    sir……..aap ne face book ma thi gayab thaya etle contect mate aap na blog thi lakhu chhu……….ke me tamara big fan…..kem amne muki ne gayab thaya??? r u ok??? we all r waiting for you and your daily lovely jodkna………nayan

  120. Dharmesh કહે છે:

    સરસ વાર્તા હતી……પણ આમાં કોઈ ધર્મ નો વાક ન કાઢી સકાય.

  121. dear sir….i like padhramni story……i will try to publish in jan fariyad for readers…..

  122. jatin sanghani કહે છે:

    ||~~~ પધરામણી ~~~||

    મેહુલભાઈ એ આ વાર્તા પોતાના નામે ચડાવી નાખી છે….

  123. nishant કહે છે:

    સર ગમી…..પ્લોટ મસ્ત હતો….ને અહિયા કોઇ ધર્મની વાત કહી શકો છો ઉપર મે જે કોમેન્ટ વાંચી ને દુઃખ થયુ..કે લોકો આવી નાની સોચ પંણ ધરાવે છે…સ્વામી નારાયણ ધર્મ વિષે ના લખ્વુ જોય તે બધી બોગશ વાતો….” આ દેશ તક ને લક નો દેશ છે” સુપર્બ..્લાઇન.. અહિયા તમારી પોયમ ના આવી તે થોડૂ ખુટ્યુ તેવુ લાગ્યુ…….” રોષભરી નજરે સુનિલભાઈએ દિવાલ પર લટકતી દાદા સ્વામિની તસવીર તરફ જોયું.એ તસવીરમાં સ્વામિજી મરક મરક હસી રહ્યા હતા.” આ વાચી ને હું બહુ જ હસ્યો…સુપર્બ પરીસ્થીતી ઉભી કરી હતી તેમે….નાઇસ વન સર

  124. shweta makwana કહે છે:

    i really enjoyed the story sir. very good

  125. archana gorasiya(dhara) કહે છે:

    you have power of ultimatly thinking and creative very nice story..thank you so much…

  126. Ajay Panchal કહે છે:

    નટવરભાઈ,
    વાર્તા ખુબ જ ગમી. ધર્મ ઉપર કોઈ કોમેન્ટ નથી કરવી પણ આપે બહુ જ સારી રીતે કથા ગુંથી છે. વાર્તાનો અંત ગમ્યો, ટાયટલ વાર્તાને અનુરૂપ છે. આપની શૈલી અને ભાષા શુદ્ધિ પણ ઘણી જ સારી છે. લગભગ બધી જ વાર્તા વાંચી ગઈ છે. મજા આવે છે તમારી વાર્તા વાંચવાની.
    આભાર !
    -અજય પંચાલ

  127. Pravin કહે છે:

    સરસ આલેખન, આકર્ષક ભાષા શૈલી, – માનવીય નબળાઈનુ સુંદર રીતે નિરુપણ. ધાર્મિક બાબત પર વધુ લખવું નથી પરંતુ – જ્ઞાની પુરુષ યા સ્ત્રીમા જાતી ભેદ નથી હોતો…….એક ભાઈએ ઋષીમુનીઓના દાખલા આપી > જ્યા આગ હોય ત્યા માખણ યા ઘી ઓગળ્યા વિના ન રહે એવો ઉલ્લેખ કરેલ છે – વાત સાચી છે. તો પણ મને લાગે છે આવી કથાઓ ઉપજાવી કાઢી હોવી જોઈએ. ઋશી મુનીઓ જ્ઞાની હતા અને જ્ઞાનીને મન સ્ત્રી પુરુષમા ભેદ ન હોય શકે અને જો ભેદ રાખતા હોય તો તે જ્ઞાની ન કહેવાય……્કામ વાસના પ્રાકૃતિક છે અને તેના પર વિજય મેળવનાર સાચો આત્મજ્ઞાની છે. બીજુ આપણે કોઈ મહાન બ્રહમજ્ઞાની તો નથી પણ એ હકિકત છે કોઈ પણ બાપ પોતાની દિકરી કે દિકરાની વહુ પર યા કોઈ પણ ભાઈ પોતાની બહેન પર વાસના ભરી આખથી જોતો નથી. જો તે જોતો હોય તો એમા અને સુવર મા કશો ફર્ક નથી…….કબીરને તો સ્ત્રીની રાખનો પણ ડર લાગે છે!!! નરસિહમહેતા, જાલા બાપા પરણેલા હતા………..બાકી જેટલા માથા તેટલા વિચાર…..

  128. આ વાર્તા આજે વાંચી. અલગ વિષય,વિશિષ્ટ માવજત,સચોટ લેખન.બહુ સુંદર વાર્તા.

    જો નામથી ધર્મ ન લખ્યો હોત અને મોભમ રાખ્યો હોત તો વધારે સારું હતું.

  129. Rajiv. Rajpara કહે છે:

    બહુ જ ગમી….અંધ ભક્તિ પર બહુ જ સારી વાર્તા… ને મારો પોતાનો જ અનુભવ અહીં વર્ણવા નું મન થયું..મારે ફેસબુક ના માધ્યમ થી એક કહેવાતા સંત ને ૬ વર્ષ પહેલાં મને મળ્યા હતા..વક્તા તરીખે સારા એટલે બંદા તો whatsaap no. પણ માંગી લીધો પછી તો ઓળખાણ વધી…હું હકીકતે વૈષ્ણવ,પણ તેમના રંગ માં થોડો રંગાવા લાગ્યો…મૈત્રી થયા પછી એક વખત તેમનો મો.આવ્યો કે રાજીવ ભાઈ હું તમારે ત્યાં પધરામણી કરવા સાંજ ના ૫ વાગે આવું છું
    હું તો સમારી નીચે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના પાડોશી ને પૂછવા ગયો..કે ગુરુજી પધરામણી કરે છે!!!તો શું કરવા નું હોય
    તેમણે કહ્યું કે તમારા અહોભાગ્ય કે આવા સંત તમારે ત્યાં પધારે છે…ખેર ભક્તિપ્રસાદ સ્વામી પોશ કાર ના કાફલા સાથે પધાર્યા… અમે નમન કરી ને પાડોશી ના કહેવા મુજબ કાજુ, બદામ,પિસ્તા, ને દૂધ પીરસ્યું,
    પછી તેઓ એ તેમની પ્રાર્થના કરી..જેમાં અમે પણ જોડાયા.. તે ગયા પછી અમારા પાડોશી ઉવાચ: રાજીવભાઈ તમારા નસીબ ના દ્વાર ખુલી ગયા બાકી આ સંત કોઈ ને ત્યાં હજુ પધાર્યા જ નથી,
    હું પણ અભિભૂત તો થઈ જ ગયો ને ફેસબુક માં પોસ્ટ પણ કરી.
    થોડા દિવસ બાદ “ગુરૂજી” નો મોબાઈલ આવ્યો કે કોઈ પડદા ના કારીગર જોડે ઓળખાણ છે?મેં હ પાડી ત્યાં તો ફટાફટ ફોટા મોકલ્યા.. જે બીજા સ્વામી ના હતા… મને કહે કે આના કરતાં પણ સારી ડિઝાઈન ના બનવા જોઈએ, કારીગર મારો ઓળખીતો ને મિત્ર જેવો એટલે જબરજસ્ત પડદા ના ફોટા મોકલ્યા,ગુરુજી નો આદેશ છૂટ્યો બસ માપ મોકલું છું, જલ્દી બનાવી મોકલી દો
    હવે હું ફસાયો ખરે ખર નો પડદા ની કિંમત ૩૦,૦૦૦રૂ થતી હતી એટલે બીજે દિવસે મો.કરી કહ્યું કે “ગુરુજી” કુલ ૩૦.૦૦૦ ના પડદા થાઈ તેમ છે,તો ૫૦% જેટલી રકમ મોકલાવી દો તો કામ શરૂ થાય
    “ગુરુજી” ને કહેતા જ તેમનું એમ કહેવા નું થયું કે તમે ભેટ નથી આપવા ના મારો ના નો ઉત્તર સાંભળતા જ whatsaap ને ફેસબુક બને માં બ્લોક કરી ને મને મોબાઈલ કર્યો કે મારો નો.તમારી ફોનબુક માં થી કાઢી નાખજો…આમ પણ તમે અમારા પંથ ના ના હતા તો પણ અમે સંતો એ પધરામણી કરી હવે મને મેસેજ કે ફોન ક્યારેય ના કરતા…રાત્રે શોપ પર થી આવી ને પાડોશી ને વાત કરી તો કે અરે રાજીવભાઈ તમે મોકો ચુકી ગયા,તમારા ઘર માં ધન ના ઢગલા થાત મેં કહ્યું ચાલો પૈસા તમે આપો તો હું જાતે જઇ નેજુનાગઢ થી પડદા રાજકોટ આપી આવીશ…. તેમનો હજુ હકાર નો જવાબ આવ્યો નથી ને ગુરુજી માં થી મારા માટે mr. bhakti prasad બની ગયા…. ને હું પણ જુનાગઢ થી અમદાવાદ આવી ગયો.ઇતિ. સચોટ વાર્તા લખવા બદલ અભિનંદન નટવર સાબ

  130. સંદીપ પટેલ કહે છે:

    સરસ નવલિકા છે સાહેબ. વાંચવાની મજા આવી.

    આ મોટેલના માલિક સુનિલભાઈ જેવા જ કર્મચારીઓનું શોષણ કરવામાં જ માનતા અને અહીંયા મારા એક સમયના US રહેતા ભાગીદાર,(ભારતમાં મારી સાથે ધંધો કરેલો એની પણ અલગ જ સ્ટોરી છે એ કહીશ તો ઘણું લંબાઈ જશે) જે સ્વામિનાલાયક અધર્મમાં જ માને છે.એમની નાનકડી વાત કરી દઉં,એ પોતે અને એમના ત્યાંના ભારતીય ભાગીદારો અહીંના ભારતીય જવાન કપલને એમના ત્યાં સ્ટોર/મોટેલમાં નોકરીએ રાખે (આજે ય ઘણા લોકોને ત્યાં યેનકેન પ્રકારે જઈને સેટલ થવાનો ચસ્કો છે જ)અને બંનેને અલગ અલગ શિફ્ટમાં રાખે અને એમાં પેલી છોકરીનું બધી રીતે શોષણ પણ કરે. અહીંના જ એમના પિતરાઈએ મને આ વાત કરેલી હતી.

    ફક્ત 200 કે 225 વર્ષના જ ઇતિહાસમાં,UPના કરુ પાંડે એવા (દયાનંદ સરસ્વતીની સત્યાર્થ પ્રકાશમાં ઘનશ્યામ પાંડેની નાટકબાજીનો ઉલ્લેખ છે જ) ઘનશ્યામ પાંડેએ પોતાની જાતને જ ભગવાન તરીકે ચિતરીને જાત જાતની વાર્તાઓ કરી કરીને આ ફાલતુ સંપ્રદાયનો પાયો નાખેલો, આ કેસરી પંડાઓ એમની જાતને ભગવાનના એકમાત્ર વારસદાર ચિતરીને આખી માણસજાતના ઉદ્ધારક તરીકે વર્તી રહ્યા છે.

Leave a reply to Pravin જવાબ રદ કરો